Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ભારતને પ્રથમ રાફેલ વિમાન આઠમી ઓક્ટોબરે ઉપલબ્ધ

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાફેલ લઇને પરત આવશે : રાજનાથસિંહ પેરિસમાં રાફેલમાં ઉંડાણ ભરવા ઇચ્છુક : દશેરા પર્વ પર શસ્ત્રપૂજા કેન્દ્રીય સંરક્ષણપ્રધાન પેરિસ ખાતે કરશે

નવીદિલ્હી,તા.૬ :સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ વખતે ફ્રાંસમાં શસ્ત્ર પુજા કરનાર છે. કારણ કે, તેઓ દશેરાના દિવસે ફ્રાંસમાં રહેનાર છે. રાજનાથસિંહ ફ્રાંસથી રાફેલ યુદ્ધ વિમાન લઇને આવનાર છે. પેરિસમાં ૮મી ઓક્ટોબરના દિવસે પ્રથમ રાફેલ વિમાન ભારતને મળનાર છે. એજ દિવસે તેઓ રાફેલ વિમાન ઉંડાણ પણ ભરનાર છે.

સુત્રોના કહેવા મુજબ તેઓ ફ્રાંસીસી એરફોર્સના બેઝ પરથી ઉંડાણ ભરશે. સંરક્ષણમંત્રી સાતમી ઓક્ટોબરના દિવસે ત્રણ દિવસની પેરિસ યાત્રા પર રવાના થશે. આવતીકાલે પેરિસ જવા રવાના થયા બાદ આઠમી ઓક્ટોબરના દિવસે ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસે ભારતને પ્રથમ રાફેલ વિમાન સોંપવામાં આવનાર છે. શસ્ત્રપૂજા પણ દશેરાના દિવસે પેરિસમાં યોજવામાં આવશે. વર્ષ ૨૦૧૬માં ફ્રાંસની સાથે ૫૮૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ યુદ્ધવિમાન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  ફ્રાંસ પાસેથી કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાન મળનાર છે. સુત્રોના કહેવા મુજબ રાજનાથસિંહ રાફેલ વિમાનમાં ઉંડાણ ભરીને ચકાસણી કરનાર છે. આ ઉપરાંત ફ્રાંસના ટોચના લશ્કરી અધિકારીઓની સાથે રાફેલની નિર્માણ કંપની દસા એવિએશનના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સિંહ ૯મી ઓક્ટોબરના દિવસે ફ્રાંસના ટોપ સંરક્ષણ અધિકારીઓ સાથે સંરક્ષણ અને સુરક્ષા સહકાર વધારવાના ઉપાય ઉપર ચર્ચા કરશે. ભારતીય હવાઈ દળનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ પહેલાથી જ ફ્રાંસ પહોંચી ચુક્યું છે. આ વિમાન ખુબ શક્તિશાળી અને મિસાઇલ લઇ જવામાં સક્ષમ છે. રાફેલ વિમાન ભારત પાસે આવ્યા બાદ ચીન અને પાકિસ્તાન ઉપર ભારતની સંરક્ષણના ક્ષેત્રમાં મહત્વની લીડ થઇ જશે. સાથે સાથે આતંકવાદી કેમ્પો ઉપર ત્રાટકવામાં પણ વધુ ઘાતક હથિયાર તરીકે સાબિત થનાર છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદી કેમ્પો પર હવાઈ હુમલા કર્યા હતા. ભારત સરકાર કહી ચુકી છે કે, આતંકવાદ સામે ઓપરેશનમાં રાફેલ વધુ ઉપયોગી રહેશે.

 

(12:00 am IST)