Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

છેલ્લી ઘડીએ 'વિક્રમ' સાથેનો સંપર્ક તુટયોઃ નિરાશા

ચંદ્રયાન-ર મિશનનાં ભવિષ્ય ઉપર સસ્પેન્સઃ ઇતીહાસ રચાય તે પહેલા જ ચંદ્ર પર લેન્ડીંગના ૨.૧ કિમી પહેલા સંપર્ક તુટયોઃ જો કે હજુ આશા જીવંત

નવી દિલ્હી, તા.૭: ચંદ્રની સપાટી ઉપર પહોંચી ત્રિરંગો લહેરાવવાનું ભારતવાસી ઓનું સપનું તુટી ગયું છે. ગઇકાલે મોડી રાત્રે ચંદ્રયાન-રનું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર ૨-૧ કિમી દુર હતું ત્યારે તેનો સંપર્ક તુટી ગયો હતો એ સાથે જ ચંદ્રયાન-ર મિશન ભવિષ્ય ઉપર સસ્પેન્સના વાદળો છવાઇ ગયા છે.

ભારત (India)ના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-૨ (Chandrayaan 2) શુક્રવાર મોડી રાત્રે ચંદ્ર (Moon)ની સપાટીથી માત્ર ૨.૧ કિલોમીટરના અંતરે આવીને પોતાનો માર્ગ ભટકી ગયું. આ વાતની આશંકા પહેલા જ કરવામાં આવી રહી હતી કે લેન્ડર વિક્રમ (Lander vikram)ને ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલાની ૧૫ મિનિટ દ્યણી મહત્વપૂર્ણ હશે. લેન્ડર વિક્રમને મોડી રાત્રે લગભગ ૧:૩૮ વાગ્યે ચંદ્રની સપાટી પર લાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો, પરંતુ ચંદ્રની સપાટી પર પહોંચવાના ૨.૧ કિમી પહેલા જ તેનો ઇસરો (ISRO) સાથે સંપર્ક તૂટી ગયો. હજુ પણ વિક્રમ અને પ્રજ્ઞાન સાથે સંપર્કની આશાઓ જીવંત છે પરંતુ આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવો જાણીએ અંતિમ ૧૫ મિનિટમાં શું થયું અને કેવી રીતે ઇસરોનો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો.

લેન્ડર વિક્રમના ચંદ્રની સપાટી પર પહોંચવાના માત્ર ૨ કિમીની અંતર બાકી હતું. રાત્રે લગભગ ૧:૩૮ વાગ્યે લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લગભગ ૧:૪૪ વાગ્યે લેન્ડર વિક્રમે રફ બ્રેકિંગનું ચરણ પાર કરી દીધું હતું. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ તેની ઝડપ ધીમી કરવાનું શરૂ કર્યુ. ૧:૪૯ વાગ્યે વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક પોતાની ગતિ ઓછી કરી લીધી હતી અને તે ચંદ્રની સપાટી ખૂબ જ નજીક પહોંચી ચૂકયું હતું. રાત્રે લગભગ ૧:૫૨ વાગ્યે ચંદ્ર પર ઉતરવાના અંતિમ ચરણમાં વિક્રમ લેન્ડર પહોંચી ચૂકયું હતું પરંતુ ત્યારબાદ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના સ્ટેશન સાથે તૂટી ગયો.

લેન્ડર વિક્રમ જયારે ચંદ્રની સપાટીથી માત્ર ૨.૧ કિમી દૂર હતું તો દરેકને આશા જીવંત થઈ ગઈ હતી કે ચંદ્રયાન પોતાનું મિશન પૂરું કરશે. આ દરમિયાન અચાનક ઇસરોના કન્ટ્રોલ રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને વૈજ્ઞાનિકોના ચહેરા ઉદાસ થઈ ગયા. કોઈને પણ કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે છેવટે થયું શું છે. કહેવામાં આવે છે કે, ઇસરોના કન્ટ્રોલ રૂમમાં લાગેલા સ્ક્રીન પર આવી રહેલા આંકડા અચાનક અટકી ગયા. ત્યારબાદ ઇસરો ચીફ સિવન ત્યાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફ આગળ વધ્યા. ઇસરો ચીફે વડાપ્રધાનને ઘટનાની જાણકારી આપી અને બહાર આવતા રહ્યા. થોડીવારમાં ઇસરોના કન્ટ્રોલ રૂમે પોતાનું લાઇવ સ્ટ્રીમિંગ પણ બંધ કરી દીધું.

ચંદ્રયાન-૨ સાથે સંપર્ક તૂટ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, જુઓ જીવનમાં ઉતાર-ચઢવા આવતા રહે છે. તેઓએ કહ્યું કે આ કોઈ નાની સિદ્ઘિ નથી, દેશ તમારા પર ગર્વ અનુભવે છે. તેઓએ કહ્યું કે ફરીથી કોમ્યુનિકેશન શરૂ થયું તો હજુ પણ આશા જીવંત છે. મારા તરફથી વૈજ્ઞાનિકોને શુભેચ્છા, આપ લોકોએ વિજ્ઞાન અને માનવ જાતિની ઘણી મોટી સેવા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું સંપૂર્ણપણે આપની સાથે છું, હિંમતની સાથે આગળ વધો.(૨૩.૫)

(9:49 am IST)