Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિકની માંગ ઉપર કાલે મુખ્ય ચર્ચા : વિવાદનો ઉકેલ આવી શકે

બંને પક્ષો ઝુંક્યા : સરકાર દ્વારા ચાર પ્રધાનોની સમિતિ બનાવાઈ : હાર્દિક કાલે પારણાં કરી શકે : પાસની સાથે વાતચીત કર્યા બાદ નરેશ પટેલ સરકાર સાથે વાતચીત કરશે : સૌરભ પટેલના આમંત્રણ પર વાટાઘાટો થશે

અમદાવાદ,તા.૭ : ગુજરાત સરકાર અને પાટીદાર અનામત તેમજ ખેડૂત દેવા માફી માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલ બંને તરફથી પોતપોતાનું વલણ આંશિકરીતે હળવું કરવામાં આવતા વાતચીતનો માર્ગ મોકળો થયો છે. એકબાજુ હાર્દિક પટેલ સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયો છે. બીજી બાજુ સરકારે પણ વાતચીત માટેની તૈયારી બતાવી છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે આજે કહ્યું હતું કે, સરકારના દરવાજા દરેક સમાજ માટે ખુલ્લા છે. સરકાર ક્યારે કોઇને વાટાઘાટોનો ઇન્કાર કરતી નથી. પાસ સમિતિએ પણ વાટાઘાટો માટે સમય માંગ્યો હોવાના અહેવાલ મળ્યા છે. હાર્દિક પટેલ આવતીકાલે પારણા કરે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. સાંજે ચાર વાગ્યાની આસપાસ પારણા કરી શકે છે. હાર્દિકના પારણા સમયે ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રમુખ પ્રહલાદ પટેલ હાજર રહે તેવી શક્યતા છે. હાર્દિક પારણા માટે માની ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ આવતીકાલે મંત્રણા થનાર છે. સરકાર તરફથી ચાર પ્રધાનોની ટીમ બનાવવામં આવી છે. આ સમિતિમાં પ્રધાન કૌશિક પટેલ, પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રધાન સૌરભ પટેલ અને પ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ સમિતિ સાથે નરેશ પટેલ પાસ સાથે વાતચીત કર્યા બાદ બેઠક યોજશે. પાટીદારોને અનામત આપવા, ખેડૂતોનું દેવુ માફ કરવા તથા અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિની માગણીઓને આમરણ અનશન કરી રહેલા હાર્દિક પટેલને મળવા માટે આજે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પહોંચ્યા હતા. હાર્દિકની મુલાકાત અને તેના ખબરઅંતર પૂછયા બાદ નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ખોડલધામ અને ઉમિયા ધામના ટ્રસ્ટીઓ સાથે મળીને સરકાર સાથે મધ્યસ્થી કરશે. તેઓ હાર્દિકની માંગણી અને લાગણી સરકાર સુધી પહોંચાડશે. પરંતુ તેમની સૌથી પ્રાધાન્યતા હાર્દિક પારણાં કરી લે તે છે. મને તેની ભારે ચિંતા થાય છે. બીજીબાજુ, રાજયના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે આજે સાંજે એક નિવેદન મારફતે સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર પાટીદાર સંસ્થાઓના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવા તૈયાર છે. સરકારનું મન ખૂલ્લું છે. સરકાર પાટીદારોની તમામ છએ સંસ્થાના આગેવાનો સાથે વાટાઘાટો માટે તૈયાર છે.  જો કે, સંસ્થાના આગેવાનોનું અપમાન થયું છે તે પણ વાસ્તવિકતા છે. સૌરભ પટેલના આ નિવેદનને હાર્દિકના સાથી મનોજ પનારાએ વખોડયું હતું અને જણાવ્યું હતું કે, સરકાર આક્ષેપબાજી બંધ કરે. છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ આદરીને બેઠેલા હાર્દિક પટેલના ખબરઅંતર પૂછવા અને તેની સાથે રૂબરૂ મુલાકાત માટે આજે ખોેડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આજે હાર્દિકની ઉપવાસ છાવણી સાથે પહોંચ્યા હતા. હાર્દિકની મુલાકાત બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલની તબિયતની ચિંતા કરીને હું તેને મળવા આવ્યો છું. મારી ઇચ્છા છે કે જલ્દીથી હાર્દિક પટેલ પારણા કરી લે. આજે હું પાટીદારોની બે ધાર્મિક સંસ્થાઓ ઉમિયાધામ અને ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે હાર્દિકની માગણીઓને લઇને ચર્ચા કરીશ અને સહમતિ બધા સરકાર ચર્ચા કરીશું. કદાચ આવતી કાલે હાર્દિકના મુદ્દાઓને લઇને સરકાર સાથે ચર્ચા કરીશું.હાર્દિકની લડાઇ સમગ્ર પાટીદાર સમાજની લડાઇ છે. હાર્દિકને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ બીજીબાજુ, રાજય સરકાર પણ હરકતમાં આવી હતી અને રાજયના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, સરકાર આ સમગ્ર મામલે પાટીદાર સમાજની સંસ્થાઓના આગેવાનો સાથે મુકતમને ચર્ચા કરવા તૈયાર છે. સરકારની જાહેરાત બાદ હવે આવતીકાલે પાટીદાર સંસ્થાઓના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ નરેશ પટેલની આગેવાની હેઠળ સરકારના મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજે તેવી પૂરી શકયતા પ્રવર્તી રહી છે.

(8:34 pm IST)