Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અખિલેશની ઓરંગઝેબ સાથે યોગી આદિત્યનાથે તુલના કરી

પછાત વર્ગ મોરચા સંમેલનમાં યોગીના પ્રહારો : જે વ્યક્તિ પિતા અને કાકાની પણ નથી તે વ્યક્તિ સામાન્ય લોકોની સાથે ન્યાય કરી શકે નહીં : યોગીનો સીધો આક્ષેપ

લખનૌ, તા. ૭ : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે જોરદાર પ્રહાર કર્યા હતા. યોગી આદિત્યનાથે અખિલેશની સરખામણી મોગલ શાસક ઔરંગઝેબ સાથે કરી હતી અને કહ્યું હતું કે, તેમના કારણે રાજ્યના લોકો હજુ પરેશાન થયેલા છે. લખનૌમાં પાર્ટીના પછાત વર્ગ મોરચા સંમેલન દરમિયાન યોગીએ આ મુજબની વાત કરી હતી. આ સંમેલનમાં પ્રદેશભરમાં નિશાદ, કશ્યપ અને અન્ય સમુદાયના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જે વ્યક્તિ પોતાના પિતા અને કાકાના થયા નથી તે સામાન્ય લોકોની સાથે કઇરીતે આવી શકે છે. સામાન્ય લોકોને જોડવાની વાત બિલકુલ યોગ્ય દેખાતી નથી. ઇતિહાસમાં એક પાત્ર આવે છે. આ પાત્ર પોતાના પિતાને પણ જેલમાં પુરી દીધા હતા. આજ કારણસર કોઇ મુસ્લિમ પોતાના પુત્રનું નામ ઔરંગઝેબ રાખતા નથી. સમાજવાદી પાર્ટીની સાથે પણ આવું જ થઇ રહ્યું છે. ફતેપુરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ પણ અખિલેશ યાદવને ઔરંગઝેબ તરીકે ગણાવી ચુક્યા છે. તેમણે કહ્યું છે કે, અખિલેશ યાદવે મોગલ કાળને પણ પાછળ છોડી દીધા છે. યાદવ પરિવારમાં જો કોઇ ખેંચતાણ છે તો અખિલેશ યાદવ ઔરંગઝેબની ભૂમિકામાં આવી ગયા છે. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને ભાજપ ઉપર સપા અધ્યક્ષ અખિલેશ યાદવે હાલમાં તમામ પ્રહારો કર્યા છે. ભાજપ તરફથી અખિલેશ યાદવ સહિત સમાજવાદી પાર્ટી ઉપર વળતા પ્રહારો જારી રહ્યા છે. હાલમાં જ અખિલેશ યાદવના કાકા અને સમાજવાદી પાર્ટીમાં શક્તિશાળી ગણાતા શિવપાલ યાદવે પાર્ટી સાથે છેડો ફાડીને નવી પાર્ટી સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરી હતી. શિવપાલે ગુરુવારના દિવસે અખિલેશ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, રાવણ અને કંસ જેવા અન્યાય અને આતંકનો ખાત્મો થયો છે તેવી જ રીતે વરિષ્ઠ લોકોનું અપમાન કરનારનો પણ ખાત્મો થશે. શિવપાલે કહ્યું છે કે, એકસમાન વિચારધારા ધરાવનાર અને કાર્યકરોને પણ મોરચામાં સામેલ કરાશે.

(7:25 pm IST)