Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

પતિના મૃત્‍યુ બાદ પત્‍નીએ પણ છોડી દુનિયાઃ એક જ ચિતા પર થયા અંતિમ સંસ્‍કાર

બંનેની અંતિમયાત્રા પણ એક સાથે કાઢવામાં આવી

દરભંગા,તા. ૭ : કહેવાય છે કે જોડી સ્‍વર્ગમાંથી બનીને છે. જીવન અને મૃત્‍યુનો સમય પણ ઉપરથી લખાયેલો આવે છે. પરંતુ આવી જોડીઓ દુર્લભ હોય છે જેઓ સાથે જીવવાનું અને મરવાનું નસીબ લખીને ધરતી પર આવે છે. આવી જ એક જોડી હતી સુધીર ઝા અને નિર્મલા દેવીની જેમણે આ વાત સાચી સાબિત કરી છે. જિલ્લાના તરડીહ બ્‍લોકના મચૈતા પછી ટોલામાં પતિના મૃત્‍યુના આઠ કલાકમાં જ પત્‍ની નિર્મલા દેવીએ પણ દુનિયા છોડી દીધી. મૃત્‍યુ બાદ બંનેના એક જ ચિતા પર અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. બંનેની અંતિમયાત્રા પણ એક સાથે કાઢવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ૬૩ વર્ષીય સુધીર ઝા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને સારી સારવાર માટે પટણાની ખાનગી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. પટણામાં જ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમની પત્‍ની નિર્મલા દેવી અને નાનો પુત્ર કુંદન ઝા મૃતદેહ લઈને ગામ પહોંચ્‍યા. તેમનો મોટો દીકરો પાછળથી મુંબઈથી ગામમાં આવ્‍યો. મોટો પુત્ર ઘરે આવ્‍યા બાદ સુધીર ઝાની પત્‍ની નિર્મલા દેવીએ પણ અંતિમ શ્વાસ લીધા હતા.

નિર્મલાએ પણ પતિના મૃત્‍યુના ૮ કલાકમાં જ દુનિયા છોડી દીધી હતી. આ પછી બંને પતિ-પત્‍નીની અંતિમયાત્રા એકસાથે કાઢવામાં આવી હતી અને એક જ ચિતા પર એકસાથે તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. આ દ્રશ્‍ય જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ. આ ઘટનાની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે.

મૃતક સુધીર ઝા અને નિર્મલા દેવીના મોટા પુત્ર આશિષ ઝાએ જણાવ્‍યું કે તેમના માતા અને પિતા વચ્‍ચે ઘણો પ્રેમ હતો. બંને વચ્‍ચે ભાગ્‍યે જ ઝઘડો થતો. તેમને વિશ્વાસ નથી થતો કે એક જ દિવસમાં માતા અને પિતા બંને તેમને મૂકીને દુનિયાને અલવિદા કહી દીધું. તેમણે કહ્યું કે, ભગવાન તેમના આત્‍માને શાંતિ આપે અને દરેક જન્‍મમાં તેઓ તેમના માતા-પિતા તરીકે મળે.

(10:58 am IST)