Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રાજીનામું આપવા કહેવાયું ને મેં આપ્યું : બાબુલ સુપ્રિયો

સાંસદે રાજીનામાની માહિતી ફેસબુક પર આપી : રાજીનામું આપ્યા બાદ બાબુલે નવા સભ્યોને શુભેચ્છા પાઠવી

કોલકત્તા, તા. ૭ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં પ્રથમવાર કેબિનેટમાં ફેરફાર કર્યા છે. તેને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. આસનસોલથી સાંસદ સુપ્રિયોએ ફેસબુક પોસ્ટ પર આ વાતની જાણકારી આપી છે. આ પોસ્ટમાં રાજીનામુ આપવા પર તેમનું દુખ પણ સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, મને રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું અને મેં આપી દીધું છે.

બાબુલ સુપ્રિયોએ મંત્રી પરિષદમાં સ્થાન આપવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, તે ખુશ છે કે તેમના ઉપર ભ્રષ્ટાચારના એકપણ દાગ નથી. તે પોતાના સંસદીય ક્ષેત્રના લોકોની સતત સેવા કરી રહ્યાં છે. સુપ્રિયોએ પોતાની પોસ્ટમાં લખ્યુ- જ્યારે ધુમાડો ઉઠે છે તો ક્યાંક ને ક્યાંક આગ જરૂર હોય છે. હું ખુદ તમને કહેવા ઈચ્છુ છું કે મેં મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. મને આમ કરવા માટે કહેવામાં આવ્યું અને મેં કરી દીધું.

બાબુલ સુપ્રિયોએ નવા મંત્રીમંડળમાં બંગાળથી સામેલ થનારા ચહેરાને શુભેચ્છા પણ આપે છે.

તેમણે લખ્યુ છે કે બંગાળથી મંત્રીમંડળમાં સામેલ થવા જઈ રહેલા નવા સાથીઓને ખુબ ખુબ શુભેચ્છા. હું મારા માટે જરૂર દુખી છું પરંતુ તે લોકો માટે ખુશ છું.

(8:54 pm IST)