Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દિલીપ કુમારે પાક. બ્યૂટી ક્વિન સાથે લગ્ન કર્યા હતા

દિલીપ કુમારે બીજા લગ્ન પણ કર્યા હતા : સંતાન માટે દિલિપ કુમારે અસમા સાથે લગ્નનો નિર્ણય કર્યો પણ સાયરાની નારાજગી બાદ લગ્નનો અંત આવ્યો

મુંબઈ, તા. ૭  : દિલીપ કુમાર અને સાયરાબાનુના દામપત્ય જીવનનુ ઉદાહરણ આપવામાં આવતુ હોય છે પણ ઘણાને ખબર નહીં હોય કે દિલિપ કુમારે સાયરા બાનુ સાથે લગ્ન કર્યાના ૧૬ વર્ષ બાદ બીજા લગ્ન કર્યા હતા અને તેનાથી સાયરા બાનોનુ દિલ તુટી ગયુ હતુ.દિલિપ કુમાર સાયરાબાનોને જીવથી વધારે ચાહતા હતા પણ તેમણે ૮૦ના દાયકામાં પાકિસ્તાની બ્યુટી ક્વીન અસમા રહેમાન સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા હતા.

દિલિપ કુમારે હંમેશા આ અહેવાલોને નકાર્યા હતા પણ વર્ષો પછી તેમણે તેના પર મૌન તોડીને આ લગ્નને પોતાના જીવનની મોટી ભૂલ ગણાવી હતી.ઓનલાઈન મીડિયા રિપોર્ટ પ્રમાણે અસમા રહેમાન સાથે દિલિપ કુમારે હૈદ્રાબાદમાં લગ્ન કર્યા હતા.લગ્ન બાદ તેઓ અસમાને મુંબઈના પાલી હિલ ખાતે આવેલા બંગલામાં રહેવા માટે લઈ આવ્યા હતા.

જોકે વાત આગની જેમ ફેલાઈ હતી અને એક મેગેઝિને આ અંગેનો અહેવાલ છાપ્યો હતો.એ પછી બધે દિલિપ કુમારના બીજા લગ્નની ચર્ચા થવા માંડી હતી.સાયરા બાનોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ ભડકી ઉઠ્યા હતા.પહેલા તો દિલિપ કુમારે લગ્નનો ઈનકાર કરી દીધો હતો પણ બાદમાં તે્મણે બીજા લગ્નની કબૂલાત કરી હતી.સાયરા બાનોએ અસમાને પાકિસ્તાન પાછી મોકલી દેવા માટે કહ્યુ હતુ.

એક દલીલ એવી છે કે, દિલિપ કુમાર અને સાયરાબાનો નિસંતાન હતુ.સાયરા બાનો લગ્ન બાદ જોકે પ્રેગનન્ટ થયા હતા અને તે વખતે દિલિપ કુમારની ખુશીનુ ઠેકાણુ નહોતુ.તેમણે સાયરાને ફિલ્મો છોડીને આરામ કરવા માટે કહ્યુ હતુ પણ સાયરા બાનુ બાકી કામ અધુરુ રાખવા માંગતા નહોતા.સાયરાએ કહ્યુ હતુ કે, હું મારુ પુરુ ધ્યાન રાખીશ પણ એક તબક્કે શૂટિંગ દરમિયાન સાયરાબાનુની તબિયત બગડી હતી અને તેમનુ મિસકેરેજ થઈ ગયુ હતુ.આ ખબર બાદ દિલિપ કુમાર ચોધાર આંસુએ રડયા હતા.એ પછી સંતાન માટે દિલિપ કુમારે અસમા રહેમાન સાથે લગ્નનો નિર્ણય કર્યો હતો. જોકે સાયરા બાનુની નારાજગી બાદ તેમના બીજા લગ્ન જીવનનો અંત આવી ગયો હતો.

 

(8:04 pm IST)