Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે

તમામ ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન્સ મોંઘા થશે?

નવી દિલ્હી,તા.૭ : દેશના સ્માર્ટફોન યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે. તમામ ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન્સ એક વખત ફરી મોંઘા થવા જઈ રહ્યા છે. કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે દરમિયાન કંપનીઓ સામે આવેલા પડકારને પગલે ટેરિફ પ્લાન્સ મોંઘા કરવા હવે મજબૂરી બની ગઈ છે. EY(Ernst& Young)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી ૧૨ થી  ૧૮ મહિનામાં ટેલિફોન બિલ અને ઈન્ટરનેટ ચાર્જ સહિતના રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે. રિપોર્ટ અનુસાર ટેલિકોમ ક્ષેત્રનું વર્તમાન માળખું લાભકારક નહીં હોવાને કારણે ફોનકોલ અને ઈન્ટરનેટ સહિત તમામ સેવાઓના દરમાં બે વખત વધારો કરવામાં આવી શકે તેવુ EYના રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે.

EYના TMC લીડર પ્રશાંત સિંઘલના જણાવ્યા અનુસાર, વર્તમાન સ્થિતિને જોતા તાત્કાલિક ટેરિફમાં વધારો કરવામાં નહીં આવે પણ થોડા મહિનાઓ પછી કંપનીઓ ચોક્કસપણે ટેરિફ દરમાં વધારો કરશે. તેમણે વધુમાં કહ્યું કે, હાલ અફોર્ડેબલ પ્લાન્સ યૂઝર્સની જરૂરીયાત છે અને ઈકોનોમિક ક્રાઈસિસને પગલે પ્લાન મોઘા કરવા સારો વિચાર નથી પણ આગામી ૧૨થી ૧૮ મહિનામાં બે વખત ટેરિફ ફાઈક જોવા મળી શકે છે. જોકે, ટેલિકોમ કંપનીઓ તરફથી આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. મહત્વનું છે કે, ટેલિકોમ કંપનીઓ તરફથી ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ટેરિફ પ્લાન્સની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. હકીકતમાં અસંખ્ય ગ્રાહકો હોવાછતા માર્કેટમાં ટકી રહેવા માટે જરૂરી એવરેજ રેવેન્યુ સામે ગ્રાહકો ઓછા છે. આજ કારણ છે કે, એકસાથે તમામ ઓપરેટર્સ તેમના પ્લાન્સની કિંમતોમાં ફેરફાર કરી શકે છે. ગયા વખથે ૪૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. હવે કંપનીઓ બે વખત તબક્કાવાર રીતે ટેરિફની કિંમતોમાં વધારો કરે તેવી વાત સામે આવી છે. આ રીતે સ્થિર માર્કેટ ટ્રેક તરફ પરત ફરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

(11:42 am IST)