Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ખાસ પ્રકારના ઇન્જેકશન અપાયા

ભરતસિંહ સોલંકીની સ્થિતીમાં ઝડપી સુધારો લાવવા દિલ્હી એઇમ્સનાં ડોકટરોની સલાહ લેવાઇ

અમદાવાદ,તા.૭ : પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીની કોરોનાની સારવાર કરતી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ડોકટરોએ એઈમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)ના ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાની સલાહ લીધી છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે બે વાર સેવા આપી ચૂકેલા સોલંકીની સારવાર માટે અન્ય ટોચના ડોકટરોની સલાહ પણ લેવામાં આવી છે.

૬૭ વર્ષીય ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો ન થતાં ગત સપ્તાહે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ૨૩મી જૂને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 'ખાનગી હોસ્પિટલના ડોકટરોઓ AIIMSએ વડા ડો.ગુલેરિયા અને મુંબઇની લીલાવતી હોસ્પિટલના ટોચના ડોકટરોની સલાહ લીધી છે. ચાવડાએ જણાવ્યું હતું કે, સોલંકીની સ્થિતિમાં ઝડપથી સુધારો લાવવા માટે વિશેષ ઈન્જેકશન પણ આપવામાં આવ્યા છે.

ચાવડાએ કહ્યું કે, તેમની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે, પરંતુ તેમને હજી પણ ઓકિસજન સપોર્ટની જરૂર છે. ડોકટરો જલ્દીથી તેમની સ્થિતિમાં વધુ સુધારો થવાની અપેક્ષા છે. જણાવી દઈએ કે, ૧૯ જૂનના રાજયસભાની ચૂંટણી દરમિયાન સોલંકીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, તેઓ રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા હતા. તે દિવસે તેઓ મોટી સંખ્યામાં લોકોના સંપર્કમાં આવ્યા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોરોના થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સોમવારે તેમને કોરોનાને મ્હાત આપી અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી રજા લેતા પહેલા શંકરસિંહ વાઘેલાએ ડોકટરો અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યકત કર્યો અને તેમણે કહ્યું કે, આઠ દિવસ દરમિયાન તમામ તબીબોએ મને સારી ટ્રીટમેન્ટ આપી. હું અહીંયા આવ્યો ત્યારે સ્થિતિ ખરાબ હતી અને હવે જઈ રહ્યો છું ત્યારે એકદમ સ્વસ્થ છું. મારા ડોકટરોએ સારી સારવાર કરી છે. જે લોકો અહીં દુખી થઈને આવે સાજા થઈને જાય એવી પ્રાર્થના કરીશ.

(10:13 am IST)