Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દાઢી - મૂછવાળા હનુમાનજી : મુસ્લિમ કારીગરોએ બનાવેલ મંદિરમાં ચમત્કાર માટે ભકતોની લાગે છે ભીડ

રાજસ્થાનના સાલાસરમાં આવેલ છે આ પ્રસિધ્ધ મંદિર

જયપુર તા. ૭ : રાજસ્થાનના ચૂરૂ જિલ્લામાં આવેલ સાલાસર હનુમાનજી ફકત રાજસ્થાનમાં નહીં પણ આખા દેશમાં પ્રખ્યાત છે. ભારતમાં હનુમાનજીનું આ પહેલું એવુ મંદિર હશે જેમાં હનુમાન દાદા દાઢી-મુછ સાથે ભકતોને દર્શન આપે છે. આ મંદિરની બીજી પણ રોચક વાતો છે જેમ કે તેને મુસ્લીમ કારીગરોએ બનાવ્યું છે.

સાલાસર ગામની વચ્ચે આવેલ આ મંદિરમાં દેશભરમાંથી ભકતો દર્શન કરવા આવે છે. બહારગામથી આવતા લોકો માટે મંદિરની આસપાસ અનેક ગેસ્ટહાઉસ પણ ઉપલબ્ધ છે. જયપુરથી બીકાનેર હાઈવે પર આ ગામ આવેલું છે. અહીં જવા માટે જયપુરથી બસ અને ટેકસી મળી જાય છે. આ મંદિરના અનેક ચમત્કારીક કિસ્સા પ્રસિદ્ઘ છે.

મંદિરના અસ્તિત્વ અંગે પ્રચલીત કથા મુજબ ૧૮૧૧માં નાગપુરની પાસે આવેલ એક ગામમાં ખેડૂત ખેતી કરતો હતો ત્યારે તેના હળ સાથે કોઈ નક્કર વસ્તુ અથડાઈ જેથી તેણે તે જગ્યાએ ખોદીને જોયું તો બે મૂર્તિઓ મળી હતી. આ મૂર્તિઓને બહાર કાઢીને સાફ કરવામાં આવી તો ખબર પડી કે તે હનુમાનજીની છે. તેણે આ વાત તરત ગામવાળાને કહી.

આ જ રાત્રે ખેડૂતના સપનામાં હનુમાનજી આવ્યા અને તેને રાજસ્થાનના ચૂરૂ જિલ્લામાં સાલાસર ગામ મુકી આવવા કહ્યું. આ જ રાત્રે સાલાસરના મોહન દાસજીના સપનામાં પણ હનુમાનજી આવ્યા અને પોતની મૂર્તિ અંગે જાણકારી આપી અને કહ્યું કે અસોટાથી આ મૂર્તિ અહીં મંગાવી લો. જયારે તેમણે આ સંદેશ અસોટાના ઠાકુરને આપ્યો તો તેઓ પણ અચંબિત થઈ ગયા કે અહીં મૂર્તિ નિકળી તેની સાલસારમાં કઈ રીતે ખબર પડી ગઈ.

ખેડૂત અને સાલાસરના મોહનદાસજીના સપના અંગેની વાત બંને ગામમાં ફાલાઈ ગઈ જેને લોકો એક ચમત્કાર તરીકે જોવા લાગ્યા. જેથી હનુમાનજીની ઇચ્છા અનુસાર આ મૂર્તિને રાજસ્થાનના સાલાસર મોકલી દેવામાં આવી. અહીં એક મંદિર બનાવી આ મૂર્તિની ભવ્ય સ્થાપના વિધિ કરવામાં આવી. તો બીજી મૂર્તિને પાબોલામ ખાતે સ્થાપિત કરવામાં આવી.

ભારતભરમાં સાલાસર મંદિરમાં હનુમાનજી એક માત્ર એવા હનુમાન છે જેઓ દાઢી અને મુંછમાં ભકતોને દર્શન આપે છે. કહેવાય છે કે બાલાજીએ પોતાના ફકત મોહનરામને પહેલીવાર દર્શન આપ્યા ત્યારે દાઢી અને મુંછ સાથે આપ્યા હતા ત્યારથી અહીં મૂર્તિ દાઢી મુંછ સાથે જ છે.

(10:37 am IST)