Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કાશ્મીર : રમજાન દરમિયાન યુદ્ધવિરામ બિનઅસરકારક

છેલ્લા ૨૦ દિવસમાં ૩૬થી વધુ લોકોના મોત : પાકના ગોળીબાર , આતંકવાદી હુમલામાં માર્યા ગયેલામાં સુરક્ષા જવાનો, પોલીસ સામેલ : આ વર્ષે ૧૪૩ના મોત

શ્રીનગર,તા. ૭ : કેન્દ્ર સરકારે જમ્મુકાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના હેતુથી રમજાનના પવિત્ર મહિના દરમિયાન ત્રાસવાદીઓ સામે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અંકુશ રેખા સામે પણ કાર્યવાહી ન કરવાની જાહેરાત કરી હતી. જો કે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ બિનઅસરકારક સાબિત થયા છે. રમજાનમાં યુદ્ધવિરામના ગાળા દરમિયાન ત્રાસવાદી હિંસા વધી ગઇ છે. છેલ્લા ૨૦ દિવસના ગાળામાં જ પહેલા કરતા વધારે લોકોના મોત થયા છે. છેલ્લા ૨૦ દિવસમાં ૩૬થી વધુ લોકોના મોત થયા છે. જેમાં પોલીસ અને સુરક્ષા જવાનોનો સમાવેશ થાય છે. શ્રીનગરના જુદા જુદા સ્થળ પર ૧૮ ગ્રેનેડ ઝીંકવામાં આવ્યા હતા. બે ડઝનથી વધારે લોકો ઘાયલ પણ થઇ ગયા છે. આ વર્ષે જાન્યુઆરીથી લઇને હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકો સામેલ છે. ૭૧ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭માં ત્રાસવાદીઓએ અમરનાથ યા૬ા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હુમલામાં સાત લોકોના મોત થયા હતા. આ હુમલામાં ૧૯ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ હુમલાના કારણે દેશમાં આક્રોશનુ મોજુ ફરી વળ્યુ હતુ. રમજાનના પવિત્ર મહિના દરમિયાન ત્રાસવાદીઓ રક્તપાત સર્જવા માટેની તૈયારી કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ૨૦ ત્રાસવાદીઓ ઘુસી ગયા બાદ હુમલાની દહેશત ફરી એકવાર પ્રવર્તી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સુરક્ષા દળોને સાવધાન રહેવાની જરૂર દેખાઈ રહી છે. આતંકવાદીઓના સંદર્ભમાં વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ તમામ સુરક્ષા સંસ્થાઓને એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે રમજાનના પવિત્ર મહિના દરમિયાન ભારત સરકારે ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી ત્રાસવાદી ગતિવિધીમાં સતત વધારો થયો છે. ત્રાસવાદીઓને સરહદમાં ઘુસાડી દેવા માટે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો સતત ભંગ કરીને અવિરત ગોળીબાર કરવામાં આવ્યો છે.

(12:41 pm IST)