Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

નજીવી તકરારનું ગંભીર પરિણામ

પત્નીએ જમવાનું ન બનાવ્યું - કપડા પણ ન ધોયા : પતિએ કરી લીધો આપઘાત

લખનૌ તા. ૭ : પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા થવા સહજ છે પણ કયારેય આવા ઝઘડા એટલું મોટું સ્વરૂપ લઈ લે છે જેના વિશે વિચાર સુદ્ઘાં કરવો મુશ્કેલ હોય છે. આવી જ એક ઘટના બની બરેલીના મોહબ્બતગંજમાં જયાં પત્ની સાથે મતભેદના કારણે પતિએ આત્મદાહ કરી લીધો. કોઈ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની ત્રણ દિવસથી જમવાનું નહોતી બનાવતી અને પતિના કપડાં પણ નહોતી ધોતી. પતિએ પત્નીને સમજવાનો પ્રયત્ન કર્યો પણ તે ન માની જેથી તેણે દારૂ ગટકાવી પત્નીને માર માર્યો અને જયારે પરિવારજનોએ પોલીસ બોલાવી તો તેણે આત્મહત્યા કરી લીધી.

મૃતક ગંગા નામના યુવકના પિતાએ કહ્યું કે, તે કયારેય દારૂ પીતો નહોતો. શનિવારે સાંજે પત્ની સાથેનો તેનો ઝઘડો વધી ગયો એટલે તેણે દારૂ પીધો અને પાડોશીઓ સાથે પણ ઝઘડ્યો. બાદમાં ઘરે આવી તેને પત્ની સાથે મારપીટ કરી અને એટલી મારી કે, તે બેભાન થઈ ગઈ. ગંગાએ જયારે પરિવારજનો સાથે મારપીટ કરી તો તેમણે પોલીસને ફોન કર્યો. પોલીસની બીકથી તે ત્યાંથી ફરાર થઈ ગયો. પોલીસે ઘરે આવીને ગંગાની તપાસ કરી પણ તે ન મળ્યો. જયારે પોલીસ જતી રહી તો તે પાછો આવ્યો અને ફરીવાર મારપીટ કરી. બાદમાં પરિવારના લોકોએ ત્રાસીને ફરીવાર પોલીસને ફોન કરી બોલાવી.

પરિવારના લોકોએ ફરીવાર પોલીસને ફોન કરી બોલાવતા નારાજ ગંગાએ પોતાને રૂમમાં બંધ કરી લીધો અને શરીર પર આગ ચાંપી દીધી. તેને તાબડતોબ આંવલા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો જયાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. મૃતકને બે બાળકો છે જેમાં બે વર્ષની પુત્રી અને છ માસનો પુત્ર પણ છે.

(11:38 am IST)