Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

લખનૌમાં કાશ્મીરીઓની ધોલાઈ : ચારની ધરપકડ

ડાલીગંજમાં ફ્રુટ વેચનાર વેપારીઓ ઉપર હુમલો : ઉત્તરપ્રદેશના પાટનગરમાં બનેલા બનાવ બાદ તંગદિલી ફેલાઈ : કાશ્મીરીઓને લઇને લોકોમાં હજુ પણ આક્રોશ

લખનૌ, તા. ૭ : ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં ડાલીગંજ વિસ્તારમાં ડ્રાયફ્રુટનું વેચાણ કરતા કાશ્મીરી વેપારીઓ ઉપર લોકોના ટોળાએ જોરદાર હુમલો કર્યો હતો અને તેમને માર મારવામાં આવ્યો હતો. જો કે, પોલીસે તરત જ એક્શનમાં આવીને ચાર શકમંદોની ધરપકડ કરી લીધી હતી. કાશ્મીરી વેપારીઓને માર મારનાર ચારની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. આ બનાવ એવા સમયે બન્યો છે જ્યારે પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં ૪૦ સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. કાશ્મીરીઓને લઇને લોકોમાં આક્રોશ વચ્ચે આ વેપારીઓ હુમલાનો શિકાર થયા છે. વરિષ્ઠ પોલીસ અધિકારી કલાનિધિએ કહ્યું હતું કે, કાશ્મીરી યુવાનો વેપારીઓ હતા અને ડાલીગંજ બ્રિજ પર ડ્રાયફ્રુટનું વેચાણ કરી રહ્યા હતા. તે જ વખતે લોકોના ટોળાએ હુમલો કરી દીધો હતો અને તેમને નિર્દયરીતે માર મારવામાં આવ્યા હતા. તેમને પથ્થરબાજ તરીકે ગણીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, વિડિયો આ સંદર્ભમાં તૈયાર કરી લેવામાં આવ્યો હતો જેના લીધે તેમની જાણમાં આ માહિતી આવી હતી. પોલીસે તરત જ કાર્યવાહી કરીને ચારની ધરપકડ કરી લીધી હતી. ઝડપાયેલાઓમાં મુખ્ય આરોપી બજરંગ સોનકરનો પણ સમાવેશ થાય છે. તેની સામે હત્યા સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેની ઘણા સમયથી શોધખોળ ચાલી રહી હતી. ઝડપાયેલા ચાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં અનિરુદ્ધ, અમરકુમાર અને હિમાંશુ ગર્ગનો સમાવેશ થાય છે. ભોગ બનેલા લોકોના સંદર્ભમાં પોલીસે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના વેપારી અબ્દુલ અને અફઝલ હોવાનું જાણવા મળ્યું છે જે શિયાળામાં ડ્રાયફ્રુટનું વેચાણ કરવા માટે આવે છે. પોલીસે કઠોર સંદેશો તમામ લોકોને આપી દીધો છે અને કહ્યું છે કે, આ પ્રકારના કૃત્યોને ચલાવી લેવામાં આવશે નહીં. આ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ રહેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ભોગ બનેલા લોકો ઉપર લોકોએ લાકડીથી હુમલો કર્યો હતો તેનો વિડિયો વાયરલ થયા બાદ તપાસ કરવામાં આવી રહી છે. જો કે, સ્થાનિક લોકો તેમના બચાવમાં આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. હસનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઈઆર દાખલ કરીને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. આઈપીસીની જુદી જુદી કલમ ઉમેરવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ કેટલાક લોકો ઉશ્કેરણીજનક કૃયો કરી રહ્યા હતા. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં હુમલો કરાયા બાદ દેશના જુદા જુદા ભાગોમાં કાશ્મીરીઓ પર અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વેપારીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે.

 

(8:40 pm IST)