Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

મંદી અકબંધ : સેંસેક્સમાં વધુ ૧૫૩ પોઇન્ટનો થયેલો ઘટાડો

સેંસેક્સ ઘટીને ૩૩૧૫૯ની નીચી સપાટી પર : અવિરત મંદીના લીધે કારોબારી દિશાહીન : ચિંતાનુ મોજુ

મુંબઇ,તા. ૭ : શેરબજારમાં અવિરત મંદી જારી રહી છે. આજે સવારે કારોબાર શરૂ થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૫૩ પોઇન્ટ ઘટીને ૩૩૧૫૯ની નીચી સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૪૬ પોઇન્ટ ઘટીને ૧૦૨૦૩ની નીચી સપાટી પર હતો. અમેરિકી બજારમાં ૯ પોઇન્ટનો સુધારો થયો હતો. જેથી ડાઉ જોન્સ ૨૪૮૮૪ની સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે એસએન્ડપી ૫૦૦માં સાત પોઇન્ટનો સુધારો રહ્યો હતો. જેથી તેની સપાટી ૨૭૨૮ રહી હતી. બીએસઈ સેંસેક્સ કારોબારના અંતે  મંગળવારના દિવસે ૪૩૦ પોઇન્ટ ઘટીને ૩૩૩૧૭ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૧૦ પોઇન્ટ ઘટીને ૧૦૨૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો.શેરબજારમાં ભારે અફડાતફડીનો દોર જારી રહ્યો છે. છેલ્લા પાંચ કારોબારી સેશનમાં મૂડીરોકાણકારોએ ૪.૩૦ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. ગઇકાલે મંગળવારના દિવસે ૧.૫૪ લાખ કરોડ રૂપિયા કારોબારીઓએ ગુમાવી દીધા હતા.બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી મંગળવારના દિવસે કારોબારના અંતે ઘટીને ૧૪૪૨૦૬૦૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી જે  સોમવારે ૧૪૫૭૫૦૫૪.૨૩ રહી હતી. એકંદરે છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ઇન્ડેક્સમાં ૧૧૨૯ પોઇન્ટનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.  ગયા બુધવારના દિવસે જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.

 મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.શેરબજારમાં હાલમાં મંદી અને પ્રવાહી સ્થિતી માટે અનેક પ્રકારના કારણ જવાબદાર છે. એકબાજુ વૈશ્વિક સ્થિતી પણ ઉતારચઢાવવાળી જોવી મળી રહી છે.

(1:03 pm IST)