Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

હેલ્‍થ નિષ્‍ણાંતોના મતે વધારે પડતા પૌવા ખાવાથી શરીરમાં આડઅસરો થઇ શકે

વધુ પડતુ પૌવાનું સેવન સ્‍થુળતા, બ્‍લડ સુગર તથા એસિડીટીમાં વધારો કરે

નવી દિલ્‍હીઃ જરૂરીથી વધારે પૌવા ખાવાથી શરીર સ્‍થુળ બનતા વજન વધે છે. બ્‍લડ સુગરમાં પણ વધારો થાય છે અને એસિડીટી જેવી સમસ્‍યા થઇ શકે છે.

સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે નાસ્તાથી જ શરીરને દિવસભર માટેની એનર્જી મળે છે. પરંતુ સાથે જ મોટાભાગના લોકો સવારનો નાસ્તો ઝટપટ બની જાય તેવો અને પચવામાં સરળ હોય તેવો પસંદ કરે છે. કારણ કે નાસ્તો કર્યા પછી કામ પણ કરવાનું હોય છે. આજ કારણ છે કે મોટાભાગના લોકો નાસ્તામાં  પૌંઆ ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકોના ઘરે તો અઠવાડિયામાં ચારથી પાંચ વખત  પૌંઆનો નાસ્તો બને છે. એ વાતમાં કોઈ શંકા નથી કે  પૌંઆ ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે કારણ કે તે કાર્બોહાઈડ્રેટ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે સાથે જ તે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે અને પચવામાં હળવા તેથી મોટાભાગના લોકો પૌંઆ કોઈ પણ જાતની ચિંતા વિના ખાવાનું પસંદ કરે છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો એવું પણ જણાવે છે કે જો તમે જરૂર કરતાં વધારે પૌંઆનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં કેટલીક આડ અસરો પણ થઈ શકે છે.

અન્ય નાસ્તાઓની સરખામણીમાં  પૌંઆ ચોક્કસથી હેલ્ધી માનવામાં આવે છે. પરંતુ  પૌંઆમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે તેથી જો તમે નિયમિત રીતે પૌંઆ ખાશો તો તમારું વજન પણ વધી શકે છે. સાથે જ પોવર સફેદ ચોખા માંથી બને છે તેથી તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે રક્તમાં શુગરનું પ્રમાણ વધારી શકે છે.

કોઈપણ ઘરમાં પૌંઆ બને છે તો તેને બનાવવા માટે તેમાં તેલ મગફળી, બટેટા, ફરસાણ જેવી વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ઉમેરવાથી તેમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે. તેથી જે  પૌંઆને તમે પચવામાં હળવા ગણીને ખાવ છો તે તમારા શરીરમાં કેલેરીનું પ્રમાણ વધારે છે. આજ કારણ છે કે નિયમિત રીતે અને વધારે પ્રમાણમાં  પૌંઆ ખાવાથી બચવું જોઈએ

પૌંઆ ખાવાથી થતા નુકસાન

સ્થૂળતા

ઘણા લોકો વજન ઘટે તે માટે નાસ્તામાં  પૌંઆ ખાવાનું પસંદ કરે છે પરંતુ જો તમે રોજ  પૌંઆ ખાશો તો વજન ઘટવાને બદલે વધવા લાગશે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ વધારે હોય છે. સાથે જ  પૌંઆ બનાવતી વખતે તેમાં બટેટા નો ઉપયોગ પણ થાય છે જે વજનને વધારે છે.

બ્લડ સુગર વધારે છે

ડાયાબિટીસના દર્દી હોય તેમણે ચોખા ખાવાથી પણ બચવું જોઈએ. તેવામાં જો તમે ચોખામાંથી બનેલા  પૌંઆ નિયમિત રીતે ખાશો તો તમારું બ્લડ સુગર લેવલ વધી જવાનું જોખમ વધી જશે.

એસિડિટી

ઘણા લોકો સવારે નાસ્તામાં  પૌંઆ ખાય પછી તેમને એસિડિટી ની ફરિયાદ રહે છે.  પૌંઆ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે જેના કારણે પેટમાં દુખાવો અને એસીડીટી ની સમસ્યા પણ થઈ શકે છે.

ક્યારે અને કેટલી માત્રામાં ખાવા પૌંઆ ?

પૌંઆનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. જો તમે વધારે પ્રમાણમાં તેનું સેવન કરો છો તો સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. જો તમને  પૌંઆ ભાવતા હોય તો તમે સપ્તાહમાં બે કે ત્રણ વખત નાસ્તામાં ચા સાથે તેને લઈ શકો છો. પરંતુ ધ્યાન એક વાતનું રાખવું કે એક વાટકી થી વધારે  પૌંઆનું સેવન ન કરવું. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તેમાં બટેટાનો ઉપયોગ પણ ન કરવો.

(5:12 pm IST)