Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

પૂ. હરિચરણદાસજી બાપુ અયોધ્યામાં પડી જતા થાપામાં ફ્રેકચરઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા : ભાવિકોમાં ચિંતાનું મોજુ

પૂ.બાપુ આજે બપોરે સ્નાન કરવા જતાં બાથરૂમમાં પડી જતાં થાપામાં ઈજા પામતા પ્રાથમિક તપાસમાં તબીબોએ ઓપરેશન કરવાનું જણાવતા તેઓને સ્પેશ્યલ ચાર્ટર્ડ ફલાઈટમાં રાજકોટ લાવવામાં આવ્યા : વોકહાર્ટમાં સારવાર

પૂ.હરિચરણદાસજીબાપુની આજની સવારની તસ્વીર : પૂ. હરિચરણદાસબાપુને અયોધ્યાથી સ્પેશ્યલ વિમાન મારફતે રાજકોટ લઈ આવવામાં આવેલ તે વેળાની તસ્વીર. તસ્વીરમાં ચાર્ટર્ડ પ્લેન અને કારમાં પૂ.બાપુ નજરે પડે છે.

રાજકોટ, તા. ૭ : પરમ પૂજય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસજીબાપુ આજરોજ બપોરે અયોધ્યામાં પડી જતાં ઈજા પામતા ત્યાંના તબીબોએ પ્રાથમિક તપાસ કરતાં થાપાના ભાગમાં ઈજા થઈ હોવાનું જણાવેલ અને થાપાના ભાગમાં ઈજા થઇ હોય ઓપરેશન કરાવવાનું જણાવતાં તેઓને ત્વરીત ધોરણે અયોધ્યાથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. પૂ. હરિચરણદાસજી બાપુને ઈજા થયાની જાણ થતાં ભાવિકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

આ અંગેની મળતી વિગતો મુજબ પૂ. હરિચરણદાસજી બાપુ બે દિવસ પહેલા ઈન્દોર (અયોધ્યા) પહોંચ્યા હતા. દરમિયાન તેઓ બાથરૂમમાં સ્નાન કરવા જતાં પડી ગયા હતાં. આ બાબતની જાણ થતા ભાવિકો દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં તબીબોએ થાપાના ભાગમાં ઇજા પહોંચી હોવાનું અને ઓપરેશન કરવાનું જણાવ્યુ હતું.

આ લખાય છે ત્યારે પૂ.બાપુને સ્પેશ્યલ ચાર્ટર્ડ ફલાઈટમાં આજે બપોરે રાજકોટ લાવવામાં આવી રહ્યા છે.

એરપોર્ટથી તેઓને એમ્બ્યુલન્સમાં વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે. વોકહાર્ટ હોસ્પિટલમાં ડો.ચિરાગ માત્રાવડીયા, ઓર્થોપેડીક સર્જન ડો.અવિનાશ મારૂ, ડો.શ્યામ ગોહેલ અને ફેમીલી ડો.વિદ્યુત ભટ્ટ પૂ.બાપુની સારવાર કરશે.

પૂ. હરિચરણદાસજીબાપુ પડી ગયાની જાણ થતાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યાથી પૂ.બાપુને રાજકોટ લાવવા ખાસ વ્યવસ્થા કરી આપી હતી. વિજયભાઈના પી.એ. શ્રી શૈલેષ માંડવીયા સતત સંપર્કમાં રહ્યા હતા અને સ્પેશ્યલ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં મદદરૂપ રહ્યા હતા. આ લખાય છે ત્યારે પૂ. હરિચરણદાસજીબાપુની વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે.

(6:54 pm IST)