Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સંસદના શિયાળુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક

વિવિધ પક્ષના નેતા થશે સામેલ : સત્રમાં કુલ ૧૭ બેઠકો યોજાશે : ૧૬ વિધેયકો થશે પસાર

નવી દિલ્‍હી તા. ૬ : સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં વિવિધ પક્ષોના ગૃહના નેતાઓ ભાગ લેશે. આ બેઠકમાં, સત્ર દરમિયાન ગૃહની કામગીરી સુચારૂ રીતે ચલાવવા, કાયદાકીય કામકાજ અને તેનાથી સંબંધિત મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની સંભાવના છે. શિયાળુ સત્ર ૭ ડિસેમ્‍બરથી શરૂ થશે અને ૨૯ ડિસેમ્‍બરે સમાપ્ત થશે. આ સત્રમાં ૧૭ બેઠકો થશે. સૂત્રોએ જણાવ્‍યું કે લોકસભાના સ્‍પીકર ઓમ બિરલા મંગળવારે સાંજે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક યોજશે.

આ વખતે સત્ર પહેલા પરંપરાગત રીતે યોજાતી સર્વપક્ષીય બેઠકને બદલે કારોબારી સલાહકાર સમિતિની બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો છે. ગયા અઠવાડિયે, સરકારે શિયાળુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવનારા ૧૬ બિલોની યાદી બહાર પાડી હતી.

લોકસભા અને રાજયસભામાં વિવિધ પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્‍યા હતા.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ આ બેઠક માટે લોકસભા અને રાજયસભામાં વિવિધ પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલ્‍યા છે. તેમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી હાજર રહે તેવી શક્‍યતા છે. લોકસભા અને રાજયસભામાં રાજકીય પક્ષોના ગૃહના નેતાઓને મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અને સંસદના શિયાળુ સત્રમાં હાથ ધરવામાં આવનાર સંભવિત કાયદાકીય કામકાજ અંગે ચર્ચા કરવા આમંત્રણ આપવામાં આવ્‍યું છે. સંસદના શિયાળુ સત્રના સુચારૂ સંચાલન માટે સરકારે તમામ પક્ષોના નેતાઓ પાસેથી સહકારની અપેક્ષા રાખી છે.

આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ સંસદના શિયાળુ સત્રને લઈને પાર્ટીના સંસદીય દળના અધ્‍યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્‍વમાં શનિવારે એક મહત્‍વપૂર્ણ બેઠક બોલાવી હતી. લગભગ ૭૦ મિનિટ સુધી ચાલેલી બેઠકમાં પાર્ટીએ સરહદી તણાવ, મોંઘવારી સહિતના તમામ મુદ્દાઓને સંસદમાં ઉઠાવવાનો નિર્ણય લીધો હતો જે લોકો અને દેશની સુરક્ષા સાથે સંબંધિત છે. જેમાં સાયબર ક્રાઈમનો મુદ્દો પણ મુખ્‍ય રાખવામાં આવ્‍યો છે.

(10:51 am IST)