Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગુજરાતમાં ભાજપ સરકારની ડર અને ભયની રાજનીતિ હવે નહીં ચાલે :ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ‘‘ટીમ કોંગ્રેસ’’ તરીકે એક સાથે લડશે..

નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાના ‘‘પદગ્રહણ સમારોહ’’માં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પધારેલ સર્વ સમાજના હજારો કાર્યકરો જોમ-જુસ્સા સાથે ઉમટી પડ્યા

અમદાવાદ : રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પધારેલ સર્વ સમાજના હજારો કાર્યકરો જોમ-જુસ્સા સાથે નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાના ‘‘પદગ્રહણ સમારોહ’’ ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં મોટા મોટા દાવાઓ કરી માર્કેટીંગથી ઉભુ કરેલ ‘‘ભાજપ મોડેલ’’ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ  જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ એ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના વિચારોને વરેલો પક્ષ છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ગુજરાતમાં સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ‘‘ટીમ કોંગ્રેસ’’ તરીકે એક સાથે લડશે. ગુજરાતની જનતા ભાજપને હટાવવા - સત્તા પરિવર્તનની રાહ જોઈ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ તમામ સમાજ - વર્ગના લોકોને સાથે રાખીને ગાંધીનગરમાં ૨૭ વર્ષથી શાસન કરતી ભાજપની ભ્રષ્ટ સરકારના અહંકારનો ભુક્કો બોલાવશે. ગુજરાતમાં ૫૦ લાખથી વધુ બેરોજગાર યુવાનોને ભાજપ સરકારે માત્ર નોકરીના ઠાલા વચનો આપ્યા છે. આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી – સંત્રી સાથેની ગોઠવણના લીધે  આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ નામે ગુજરાતના ૯.૫ લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થીક શોષણ થઇ રહ્યું છે.  ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે. કોંગ્રેસ પક્ષની સરકાર બનશે તો યુવાન ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવશે. કોંગ્રેસ પક્ષ ખેડૂતો અને ખેતી અને ગામડાને બચાવવા માટે કટિબદ્ધ છે. કોંગ્રેસ સરકારની પહેલી કેબીનેટ મીટીંગમાં ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપ સરકારની ડર અને ભયની રાજનીતિ હવે નહીં ચાલે. ગરીબ - સામાન્ય વર્ગ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ પર ખોટા કેસો કરવાની રીતિ - નીતિ ચલાવી લેવામાં નહીં આવે.  

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારોહમાં ભાજપ સરકારના અણઘડ વહિવટ અને નિષ્ફળ મોડલ ઉપર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અણઘડ વહિવટ અને અવ્યવસ્થાને પરિણામે સરકાર જેવુ કશું લાગતુ નથી. કોરોના મહામારીમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. જે રેમડેસિવર અને ટોસીઝુમેબ જેવી ઈન્જેક્શન અને દવાઓ હોસ્પિટલમાં હોવા જોઈએ તેની જગ્યાએ કમલમ કેવી રીતે પહોંચ્યા ? કોંગ્રેસ પક્ષે વર્ષ ૨૦૨૨માં સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભાજપ મોડલ માર્કેટીંગ આધારે બનેલું છે. હકીકતમાં સંપૂર્ણ પણે ખોખલુ તંત્ર છે. મોંઘવારી દૂર કરવાના વચનો આપનારી ભાજપ સરકારે સાત વર્ષમાં ક્યાંય ભાવ ઘટાડો કર્યો નથી. મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. ‘‘અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર’’ જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે.  ગુજરાતના નાગરિકોના પરસેવાના કરોડો રૂપિયા સેવા અને સુવિધાને બદલે ઉત્સવો અને તાયફાઓમાં વેડફાય છે. હોસ્પિટલ અને સરકારી શાળાઓના આધુનિકરણ માટે ખર્ચ કરવાની જગ્યાએ ભાજપ વાયબ્રન્ટ ગુજરાત અને મળતિયા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા આપવાને પગલે ગુજરાત રાજ્ય ૨.૪૫ લાખ કરોડથી વધુનું દેવાદાર રાજ્ય બન્યું છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પદગ્રહણ સમારોહમાં જાહેર સભાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ છે. ગુજરાતમાં પ્રસ્થાપિત સળગતા પ્રશ્નોના હલ - ઉકેલ માટે હંમેશા પ્રયત્નશીલ રહેલું. ખેડૂત અને ગામનો દિકરો છું લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વચન આપનાર ભાજપ સરકારના સાત વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે ત્યારે ખેડૂતોને પુરતા ટેકાના ભાવ મળે અને તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ પક્ષનું સંગઠન અને વિધાનસભાના ધારાસભ્યઓ સંયુક્ત પણે કાર્ય કરશે. ભાજપ સરકાર દ્વારા આદિવાસી વિરોધી નીતિઓને કારણે વનવાસી બનાવવાની કામગીરી થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ આદિવાસીઓના હક્ક - અધિકાર માટે અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારોમાં ભાજપ સરકારને ઉખાડી ફેંકી તમામ આદિવાસી સીટો ઉપર કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાય તેવી કામગીરી કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરી, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી દિપક બાબરીયા, ગુજરાત સંગઠન સહપ્રભારી જીતેન્દ્ર બઘેલજી, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કદીર પીરઝાદા સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓ, ફ્રન્ટલ - સેલના વડાઓ, વરિષ્ઠ આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર અને આભાર વિધી ધારાસભ્ય સી.જે. ચાવડાએ કરી હતી.

(8:50 pm IST)