Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હૈદરાબાદ એન્કાઉન્ટરના મુદ્દે ઓવૈસી, શશી થરુરે પ્રશ્નો ઉઠાવ્યા

જે કઈ પણ થયું તે દેશ માટે ભયાનક : મેનકા ગાંધી : કાનુનથી ચાલનાર એક સમાજમાં બિનન્યાયિક હત્યાઓને યોગ્ય ઠેરવી શકાય નહીં : શશી થરુર દ્વારા સ્પષ્ટ પ્રતિક્રિયા

હૈદરાબાદ, તા. ૬ : હૈદરાબાદમાં મહિલા તબીબ સાથે ગેંગરેપ અને હત્યાના આરોપીઓના એન્કાઉન્ટરને લઈને જુદા જુદા અભિપ્રાય સપાટી પર આવી રહ્યા છે. એકબાજુ મોટાભાગના લોકો આને લઈને પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ એન્કાઉન્ટરને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. એઆઈએમઆઈએમના વડા ઓવૈસીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક અથડામણની તપાસ થવી જોઈએ. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા શશી થરુરે કહ્યું છે કે, ન્યાયિક વ્યવસ્થાથી અલગ આ પ્રકારના એન્કાઉન્ટરને સ્વીકાર કરી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે અમને વધારે સમજવાની જરૂર છે. આ હત્યારોની પાસે હથિયાર હતા તો પોલીસે આ કાર્યવાહીને યોગ્ય ઠેરવી શકે છે. જ્યાં સુધી સમગ્ર વાસ્તવિકતા સપાટી પર ન આવે ત્યાં સુધી નિંદા કરી શકાય નહીં.

          પરંતુ કાનુનના પરિણામ સ્વરૂપે સમાજમાં આ પ્રકારની બિનન્યાયિક હત્યાઓને યોગ્ય ઠેરવી શકાય નહીં. રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માનું કહેવુ છે કે, એક નાગરિક તરીકે તેઓ ખુશ છે. અમે જેવુ ઈચ્છતા હતા તેવું થયું છે પરંતુ આવા ન્યાય કાયદાકીય વ્યવસ્થા હેઠળ થાય તે જરૂરી છે. બીજી બાજુ ડાબેરી નેતા સીતારામ યેચુરીએ  કહ્યું છે કે, બિન ન્યાયિક હત્યાઓ મહિલાઓ પ્રત્યે અમારા ચિંતાનો જવાબ હોઈ શકે નહીં. બદલો ક્યારેય પણ ન્યાય હોઈ શકે નહીં. ૨૦૧૨માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપના બનાવ બાદ કઠોર કાયદાઓને અમે આખરે યોગ્ય કેમ ઠેરવી શકતા નથી. ભાજપના સાંસદ મેનકા ગાંધીએ પણ એન્કાઉન્ટરને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જે કઈ પણ થયું છે તે દેશ માટે ભયાનક બાબત છે. કાનુને પોતાના હાથમાં લઈ શકાય નહીં. કાયદા મુજબ જ અપરાધીઓને સજા થવી જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, એન્કાઉન્ટરને લઈને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આ પણ ચિંતાનો વિષય છે કે, કઈ રીતે લોકોનો ન્યાયિક વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. નિર્ભયા કેસમાં સાત વર્ષનો ગાળો થઈ ગયો છે.

            દયા અરજીને ફગાવી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિને તેઓ અપીલ કરે છે કે તેઓ વહેલી તકે નિર્ણય લઈને દોષિતોને ફાંસીના માચડા સુધી પહોંચાડવા માટે નિર્ણય કરે. પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરે આજે કહ્યું હતું કે, એક જવાબદાર વ્યક્તિ તરીકે તેઓ કહેશે કે આમા તપાસ થવી જોઈએ. તેઓ તથ્ય જાણતા નથી કે તે આખરે હૈદરાબાદમાં શું થયું છે પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે કહેવા માંગે છે કે, આમા પૂર્ણ રીતે તપાસ થવી જોઈએ. આરોપી ભાગવાના પ્રયાસ કરી રહ્યા હતા કે પછી અન્ય કોઈ મામલો હતો.

(7:58 pm IST)