Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હોમ લોન પર ૨.૬૭ લાખની સબસિડીવાળી સ્કીમની મુદ્દત લંબાશે?

સ્કીમને મળ્યો જોરદાર રિસ્પોન્સ : ઘરના દસ્તાવેજમાં મહિલાનું નામ પણ હોવું જરૂરી

નવી દિલ્હી તા. ૬ : ૨૦૨૨ સુધીમાં દેશના દરેક વ્યકિતને ઘરનું ઘર આપવાના લક્ષ્યાંકને મેળવવા સરકારે હોમ લોન સબસિડી સ્કીમ પણ શરૂ કરી છે, જેમાં પોતાનું પહેલું ઘર ખરીદનાર વ્યકિતને હોમ લોન પર ૨.૬૭ લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે. આ સ્કીમને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે, અને આખા દેશમાં તેનો સૌથી વધુ લાભ ગુજરાતીઓએ લીધો છે.૨૦૧૬માં શરૂ થયેલી આ યોજનાની ડેડલાઈન માર્ચ ૨૦૧૯ સુધીની રાખવામાં આવી છે, જોકે યોજનાની લોકપ્રિયતાને જોતા સરકાર તેને લંબાવીને ૨૦૨૨ સુધી કરી દે તેવી શકયતા છે. હાઉસિંક એન્ડ અર્બન અફેર્સ સેક્રેટરી દુર્ગી શંકર મિશ્રાએ ઝી બિઝનેસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવયું છે કે, સરકાર આ યોજનાની ડેડલાઈન વધારવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.મહત્વનું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની આ સ્કીમમાં સબસીડીની રકમ સીધી લોનની મૂળ રકમમાંથી કપાઈ જતી હોવાથી લોનનો ઈએમઆઈ ૨૦૦૦ થી લઈને ૨૨૦૦ રૂપિયા સુધી ઘટી જાય છે. સબસિડીની રકમ સીધી બેંકમાંથી જ બારોબાર એડજસ્ટ થતી હોવાથી તેમાં ભ્રષ્ટાચારને પણ કોઈ અવકાશ નથી.

પોતાનું પહેલું ઘર ખરીદનાર કોઈપણ વ્યકિત આ યોજનાનો લાભ લઈ શકે છે, તેની શરત એટલી છે કે ઘર માત્ર પુરૂષ નહીં, પરંતુ પરિવારની મહિલા સભ્યના નામે પણ હોવું જોઈએ. તેના માટેની અરજી પણ જે બેંકમાંથી લોન લીધી હોય તેમાં જ કરવાની રહે છે, અને અરજી કર્યાના નિશ્ચિત ગાળામાં સબસિડીની રકમ મળી જાય છે.

હાલની જોગવાઈ અનુસાર, ૧૮ લાખ રુપિયાની વાર્ષિક આવક ધરાવનારા પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. વર્ષની ૬ થી ૧૨ લાખ આવક ધરાવતા વ્યકિતને ૧૬૦ વારના મકાન પર સબસિડી મળી શકે છે, જયારે ૧૨ થી ૧૮ લાખ વાર્ષિક આવકવાળઆ વ્યકિતને ૨૦૦ વારના મકાન પર આ યોજનાનો લાભ લઈ શકે છે. નિશ્ચિત શરતોના આધારે આ યોજના હેઠળ ૨.૬૭ લાખ સુધીની સબસિડી મળે છે.(૨૧.૨૮)

(3:52 pm IST)