Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

એલ્જો કે. જોસેફને યુથ કોંગ્રેસ દ્વારા તાત્કાલિક હાંકી કઢાયો

જોસેફ અંગત રીતે મિશેલના વકીલ તરીકે હાજર :તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી

નવી દિલ્હીઃ  ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયા રહેલા ક્રિશ્ચન મિશેલ તરફથી કોર્ટમાં વકીલ તરીકે હાજર રહેવા બદલ અલ્જો કે. જોસેફને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસના પ્રવક્તા અમરીષ રંજન પાંડએ જણાવ્યું કે, જોસેફ અંગત રીતે મિશેલના વકીલ તરીકે હાજર થયો હતો, તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી,

અમરીષ રંજન પાંડેએ વધુમાં જણાવ્યું કે, "અલ્જો કે. જોસેફ તેની અંગત રીતે આ કેસમાં હાજર રહ્યો હતો. તેણે આ કેસમાં હાજર રહેતાં પહેલાં યુથ કોંગ્રેસનો સંપર્ક સાધ્યો ન હતો. ઈન્ડિયન યુથ કોંગ્રેસ આવું વર્તન જરા પણ ચલાવી નહીં લે."

 પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, "ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા અલ્જો કે જોસેફને તાત્કાલિક ધોરણે ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાયદા વિભાગમાંથી દૂર કરવામાં આવ્યા છે અને સાથે જ તેને પક્ષમાંથી પણ તાત્કાલિક ધોરણે હાંકી કાઢવામાં આવે છે."

   આ પગલું અલ્જો કે જોસેફ દ્વારા થોડા સમય પહેલાં જ કરવામાં આવેલી સ્પષ્ટતા બાદ લેવાયું છે. મિશેલના વકીલ અલ્જો કે. જોસેફે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મારા એક મિત્ર છે જેના દુબઈમાં કેટલાક કનેક્શન છે. તેના દ્વારા જ ઈટાલીના વકીલે મને આ કેસ લડવા માટે વિનંતી કરી હતી. આથી હું આ કેસ લડી રહ્યો છું અને મિશેલને મદદ કરી રહ્યો છું. 

 જોસેફે વધુમાં જણાવ્યું કે, હું સક્રિય રીતે વકીલાત કરી રહ્યો છું અને આ મારો વ્યવસાય છે. મિશેલના કેસમાં પણ હું મારા વ્યવસાયની ફરજના ભાગ રૂપે રજૂ થયો હતો. જો કોઈ મને મારા ક્લાયન્ટ માટે હાજર રહેવાનું કહેશે તો એક વકીલ તરીકે હું મારી ફરજનું પાલન કરીશ. તેમણે જણાવ્યું કે, આ બાબતને કોંગ્રેસ સાથે કોઈ લેવા-દેવા નથી.

  આ વિવાદ ત્યારે વધુ વકર્યો હતો જ્યારે ભાજપના મુંબઈ એકમના પ્રવક્તા સુરેશ નાખુઆએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મિશેલ તરફથી જે વકીલ કોર્ટમાં હાજર રહ્યા છે તે ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાયદા વિભાગના ઈનચાર્જ છે. 

(12:00 am IST)