Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

GSTમાં તોળાતા ધરખમ ફેરફારોઃ વેપારીઓને અનુકૂળ બનાવાશે

સલાહકાર સમિતિએ કરેલા ધરખમ સૂચનોઃ ૨૦૧૯ સુધી ઈ-વે બિલ મુલત્વી રાખવા પણ ભલામણઃ સરળ રિટર્ન ફોર્મ-ટર્નઓવરમાંથી એકઝેમ્પટેડ ગુડઝને બાકાત રાખવા પણ સૂચન

નવી દિલ્હી, તા. ૬ :. જીએસટી સરળ બનાવવા માટે સરકારે રચેલી સમિતિએ આ ટેકસમાં ધરખમ સુધારા સૂચવ્યા છે. તેમા સર્વિસિસ માટે એક સંગઠિત સ્કીમ, ૨૦૧૯ સુધી ઈ-વે બિલ મુલત્વી રાખવા અને રિવર્સ ચાર્જ મિકેનિઝમને સદંતર બંધ કરવાના સૂચન સામેલ છે. મંગળવારે નાણા સચિવ હસમુખ અઢિયાને આ અહેવાલ સોંપવામાં આવ્યો હતો. નિષ્ણાતોના જુથે રિટર્ન ફોર્મ સરળ બનાવવા, કુલ ટર્નઓવરમાંથી એકઝેમ્પટેડ ગુડઝને બાકાત રાખવાનું પણ સૂચન કર્યુ છે તેમ જાણકારોએ કહ્યું હતુ. તેમણે કહ્યું છે કે લેટ પેમેન્ટ પર કોઈ વ્યાજની ચૂકવણી થવી ન જોઈએ, બિલ્ડીંગ અને ઓફિસ ઈન્ફ્રાસ્ટ્રાકચર માટે ઈનપુટ ટેકસ ક્રેડિટ મળવી જોઈએ. સમિતિએ કમ્પોઝિશન સ્કીમ મેળવનારાઓ માટે ઈન્ટર-સ્ટેટ વેચાણની છૂટ આપવા સૂચન કર્યુ છે. કમ્પોઝિશન સ્કીમ હેઠળ રૂ. ૧ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાને એક સમાન ફલેટ ટેકસ ચૂકવવાનો વિકલ્પ મળી શકે છે. તેમણે ઢગલાબંધ દસ્તાવેજો રાખવાની કે રિટર્ન ફાઈલ કરવાની જરૂર નથી. જીએસટી કાઉન્સીલે વધારે ઉંચી રૂ. ૧.૫ કરોડની લિમિટ મંજુર કરી છે પરંતુ તેના માટે કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે.

સરકાર જીએસટી ફ્રેમવર્કમાં વધારે સુધારા કરવા માંગે છે. ખાસ કરીને નિયમો અને પ્રક્રિયામાં સુધારાની યોજના છે જેનાથી નવો ટેકસ બિઝનેસ સમુદાય માટે વધારે અનુકુળ બનશે. વેપારીઓ અને નાના ઉદ્યોગોએ નવા ટેકસ હેઠળની જોગવાઈઓનો વિરોધ કર્યો છે. જીએસટીનું પાલન કરવામાં અનેક સમસ્યા હોવાની ફરીયાદ છે. જીએસટીએ પહેલી જુલાઈથી રાજ્ય અને કેન્દ્રના અનેક ટેકસનું સ્થાન લીધુ છે.

ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ગુજરાતના વેપારીઓ જીએસટીનો વિરોધ કરવામાં અગ્રેસર રહ્યા છે. પ્રસ્તાવિત સુધારાથી જીએસટીના પાલનને લગતા કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવવાની આશા છે. જીએસટી કાઉન્સીલ એ  આ ટેકસ અંગે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે. તેણે એડવાઈઝરી ગ્રુપની રચના કરી છે. જેમાં ઉદ્યોગના પ્રતિનિધિઓને સ્થાન અપાયુ છે. તેઓ નવા ટેકસ સુધારા હેઠળ અમલીકરણ સરળ બનાવવાના પગલા વિચારશે. સેન્ટ્રલ, સ્ટેટ અને ઈન્ટિગ્રેટેડ જીએસટી કાયદાની સમસ્યા ચકાસવા માટે આ જુથની ખાસ રચના કરવામાં આવી હતી. નિષ્ણાતોના જુથને ૩૦ નવેમ્બર સુધીમાં પોતાનો અહેવાલ સોંપવા માટે જણાવાયુ હતુ. જીએસટી કાયદાની સમીક્ષા માટે રચાયેલા જુથ દ્વારા આ સમિતિના અહેવાલની ચકાસણી કરવામાં આવશે. તે ડિસેમ્બરના અંત સુધીમાં તેની ભલામણ સોંપશે અને ત્યાર બાદ જાન્યુઆરીમાં જીએસટી કાઉન્સીલની બેઠકમાં તેના પર નિર્ણય લેવામાં આવશે.(૨-૨)

મોટા ફેરફારની હિમાયત

ટેકસ સિસ્ટમને સરળ બનાવવાની યોજના

સંભવિત સુધારા

- સર્વિસિસ માટે એક સંગઠિત સ્કીમ રચવી

- ૨૦૧૯ સુધી ઈ-વે બિલ મુલત્વી રાખવા

- રિવર્સ ચાર્જ મિકેનિઝમને સદંતર બંધ કરવુ

- રિટર્ન ફોર્મ સરળ બનાવવા

- કુલ ટર્નઓવરમાંથી એકઝેમ્પટેડ ગુડઝને બાકાત રાખવા

- લેટ પેમેન્ટ પર વ્યાજ લાગુ ન પડે

- બિલ્ડીંગ, ઓફિસ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ઈનપુટ ટેકસ ક્રેડિટ

રૂ.૧ કરોડ સુધીના ટર્નઓવર પર સમાની ટેકસની શકયતા

રૂ. ૧.૫ કરોડ મર્યાદા માટે કાયદામાં ફેરફાર જરૂરી

 

(3:01 pm IST)