Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સરખા ઉભા રહેવા પણ તાકીદ કરી

અલીબાગ કોર્ટના જજે અર્નબને આરોપીની જેમ વર્તવા : કાર્યવાહીમાં ખલેલ ન પહોંચાડવા ટકોર કરી

મુંબઈ તા. ૬ : અલીબાગ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટે સાંજે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામીને આરોપીની જેમ વર્તવા અને કાર્યવાહીમાં ખલેલ ન પહોંચાડવાનું કહ્યું હતું.

અર્ણબ ગોસ્વામીને અલીબાગ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ સુનૈના પિંગલે સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને બપોરે આશરે ૧૧.૩૦ કલાકની આસપાસ તેને ૧૪ દિવસ માટે એટલે કે ૧૮ નવેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મૃતક ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાયકના પરિવારના વકીલ વિકાસ નાયકે કહ્યું હતું કે, 'ઇજાના નિશાન સ્પષ્ટ રીતે દેખાય તે માટે મેજિસ્ટ્રેટે પ્લાસ્ટિકના પાર્ટિશન બહાર ઉભા રહેવાનું કહ્યું ત્યારે અર્ણબે તેમની સામે જ ડેઈસ પર ચડવાનો પ્રયાસ કર્યો હતો'. ડેઈસ પર ચડવાને લઈને મેજિસ્ટ્રેટે તેને ચેતવણી આપી હતી.

બાદમાં જયારે અર્ણબનો વકીલ કેસ રજૂ કરી રહ્યો હતો ત્યારે પણ તેણે ફરી એકવાર હાથ ઊંચો કર્યો હતો અને મેજિસ્ટ્રેટને ઈજાના નિશાન બતાવતા અવાજ ઉઠાવ્યો હતો. 'જે બાદ મેજિસ્ટ્રેટે ગોસ્વામીને ચેતવણી આપીને સરખા ઉભા રહેવા માટે કહ્યું હતું', તેમ નાયકે કહ્યું હતું. જયારે મેજિસ્ટ્રેટ મેડિકલ અધિકારીની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે પણ ગોસ્વામીએ ફરીથી કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો હતો અને ડોકટર ખોટુ બોલી રહ્યા છે તેમ કહ્યું હતું.

ત્યારબાદ મેજિસ્ટ્રેટે ગોસ્વામીને ચેતવણી આપી હતી કે, તેને કોર્ટરૂમ છોડવાનું કહેવામાં આવી શકે છે અને તેઓ માત્ર વકીલની જ વાત સાંભળશે. ત્યારબાદ ગોસ્વામી ચૂપ થયો હતો.

કોર્ટમાં થઈ રહેલી કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવા બદલ મેજિસ્ટ્રેટે ગોસ્વામીની પત્નીને ઠપકો આપ્યો હતો. આ સિવાય ભાજપ ધારાસભ્ય રાહુલ નારવેકર કે જેઓ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી રહ્યા હતા તેમને કોર્ટરૂમમાંથી જતા રહેવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ તેમને બહાર લઈ ગઈ હતી.

જયારે આદેશ આપવામાં આવી રહ્યો હતો ત્યારે ગોસ્વામીએ કોર્ટરૂમમાં સોફટ ડ્રિંકનો એક ઘૂંટડો પીવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસકર્મીઓએ તેને કોર્ટરૂમમાંથી બહાર જવાનું કહ્યું હતું.

સાંજે ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ અલીબાગમાં ગોસ્વામી સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ વાનના રસ્તામાં આવતા તેમને પાછળ હટાવી લેવાયા હતા.

અર્ણબની ધરપકડનો મામલો ૨૦૧૮નો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રિપબ્લિક ટીવીનો સ્ટૂડિયો તૈયાર કરનારી કંપની કોન્કોર્ડ ડિઝાઈન પ્રાઈવેટ લિમિટેડના એમડી અન્વય નાઈક અને તેમની માતાએ ૨૦૧૮માં આત્મહત્યા કરી હતી. અન્વયે આત્મહત્યા પહેલા એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે રિપબ્લિક ટીવીના ૮૨ લાખ રૂપિયા સહિત અન્ય કંપનીઓ- આઈકાસ્ટએકસ/સ્કાય મીડિયા અને સ્માર્ટવકર્સ પાસે કુલ ૫.૪૦ કરોડ રૂપિયા લેવાના છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ દયનીય બની ગઈ છે. તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.

(11:23 am IST)