Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

પૂર્વ ટીવી અેન્કર-પ્રોડ્યુસર સોહેબ ઇલિયાસી તેની પત્નીની હત્યાના કેસમાં નિર્દોષ

નવી દિલ્હીઃ લગભગ 17 વર્ષથી પત્ની અંજુની હત્યાના આરોપોનો સામનો કરી રહ્યા ભૂતપૂર્વ ટીવી એન્કર પ્રોડ્યુસર સોહેબ ઈલિયાસી માટે શુક્રવારનો દિવસ રાહત લઈને આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ગઈકાલે તેને પત્નીના મર્ડરના આરોપમાંથી મુક્ત કરી દીધો હતો. કોર્ટે જણાવ્યું કે સામો પક્ષ સાહિત નથી કરી શક્યો કે સુહૈબે પત્નીની હત્યા કરી છે કે પત્નીએ આત્મહત્યા કરી છે.

 

જસ્ટિસ એસ. મુરલીધર અને વિનોદ ગોયલની બેન્ચે સુહૈબ ઈલિયાસીની નીચલી અદાલતને ગયા વર્ષે 16 ડિસેમ્બરે સંભળાવેલા ચુકાદા વિરુદ્ધ થયેલી અપીલને મંજૂર કરી લીધી છે. 112 પાનાના ચુકાદાનો સારાંશ કોર્ટે 13 પોઈન્ટ્સમાં જણાવ્યો છે. હાઈકોર્ટે મૃતક અર્થાત અંજૂની માતા અને બે બહેનોની જુબાનીને ભરોસાપાત્ર માની નહતી. તેમનો આરોપ હતો કે સુહૈબ દહેજ માટે પત્નીને માનસિક અને શારીરિક રૂપથી ત્રાસ આપતો હતો. મેડિકોલ બોર્ડે પણ અંજુની હત્યા થઈ હોવાના આરોપોને ઠુકરાવી દીધા હતા. કોર્ટે જણાવ્યું કે મોતનું કારણ હત્યા હોવાનું સાબિત કરવુ જરૂરી છે પરંતુ સામો પક્ષ મહત્વની કડીને જોડવામાં નિષ્ફળ ગયો હતો.

સમગ્ર મામલામાં સૌથી અગત્યની વાત કોર્ટે કહી કે મૃતક ઘટનાના બે કલાક પહેલા સુધી એકદમ બરાબર હતી. ઈલિયાસી સાથે તેના ઝઘડાને કારણે તેને આત્મહત્યા કરી હોવાની વાતને નકારી શકાય તેમ નથી. હાઈકોર્ટે મૃતકની બહેન પર શંકા કરતા જણાવ્યું કે ઈલિયાસી દોષી પુરવાર થાય તેમાં મૃતકની બહેનને અંગત રસ રહેલો છે. અંજુની બહેનના કહેવા પર કેસ નોંધાયો અને તપાસ શરૂ થઈ.

ઘટના બાદ સુહૈબનું જે વર્તન હતુ તેની પણ કોર્ટે નોંધ લીધી હતી. કોર્ટને તેનું વર્તન એક હત્યારાના વર્તન જેવુ નહતુ લાગતુ. ઉપરાંત હાઈકોર્ટને ઘટના સ્થળે ઉપસ્થિત ઈલિયાસીના પીએસઓની જુબાની પર વધારે ભરોસો હતો. તેણે પોતાની જુબાનીમાં જણઆવ્યું હતું કે આરોપીએ ઈલિયાસીને ઘટનાસ્થળે બોલાવ્યો હતો અને મૃતકને ઉઠાવવામાં મદદ કરવા જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે હોસ્પિટલ લઈ જતી વખતે મૃતક સતત તેની ભૂલ થઈ ગઈ વાત કરતી રહી હતી. બેન્ચે જણઆવ્યું કે તે PSOના સ્ટેટમેન્ટને પડકારવામાં આવ્યું નથી. પત્નીએ સ્વીકાર્યું કે તેની ભૂલ થઈ ગઈ છે. આથી સામા પક્ષની હત્યાની થિયરી ખોટી પુરવાર થાય છે.

હાઈકોર્ટે જણાવ્યું કે PSOના સ્ટેટમેન્ટથી સ્યુસાઈડની થિયરી સામે આવે છે. આનાથી ખબર પડે છે કે મૃતક પોતાની જાતને ચાકુ મારીને પસ્તાઈ રહી હતી. પત્નીને સમયસર મેડિકલ સહાય મળે તે માટે ઈલિયાસીએ પૂરેપૂરા પ્રયત્ન કર્યા હતા. ઉપરાંત પત્નીના મૃત્યુ બાદ તે હોસ્પિટલમાં ભાંગી પણ પડ્યો હતો. બધા મુદ્દાને ધ્યાનમાં રાખી કોર્ટે ઈલિયાસીને નિર્દોષ ઘોષિત કર્યો હતો.

(5:32 pm IST)