Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ભાજપને બેનકાબ કરવા બાપુની ૧૫૦મી જન્‍મ જયંતિ દેશમાં મનાવશે કોંગ્રેસઃ ૨ થી ૯ ઓકટોબર સુધી યોજાશે અનેક કાર્યક્રમો

પદયાત્રાઓ, સેમીનારો વગેરે યોજાશેઃ દરેક રાજ્‍યોમાં વિવિધ કાર્યક્રમો

નવી દિલ્‍હી, તા. ૬ :. મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મ જયંતી દેશભરમાં મનાવવા કોંગ્રેસ પક્ષે નિર્ણય લીધો છે. પક્ષ દેશભરમાં ૨ ઓકટોબરથી ૯ ઓકટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજશે. પક્ષના વડામથકે મહામંત્રીઓ, પ્રદેશના નેતાઓની એક બેઠક બોલાવવામાં આવી છે જેમાં આ કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવશે.

બાપુની ૧૫૦મી જન્‍મ જયંતિ મનાવવાની પાછળ કોંગ્રેસ ભાજપના એ ચહેરાને બેનકાબ કરવા માગે છે જેમાં ભાજપ દલિતો પ્રત્‍યે અત્‍યાચાર, લોકોની વચ્‍ચે ધૃણા, મોબલીન્‍ચીંગ જેવા વિચારોને પ્રોત્‍સાહન અને આશ્રય આપી રહેલ છે.

કોંગ્રેસે જે રૂપરેખા ઘડી છે તે હેઠળ ૨ જી ઓકટોબરે દેશભરમાં રાજ્‍ય સ્‍તર પર પદયાત્રા યોજાશે. જેમા પ્રત્‍યેક કાર્યકરો ગાંધી ટોપી પહેરી હાથમાં ગાંધીની તસ્‍વીર લઈ ગાંધીજીના પ્રિય ભજનો ગાશે. જેમાં પક્ષના કેન્‍દ્રીય નેતાઓ ઉપરાંત રાજ્‍યના નેતાઓ, એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, કિસાન મોરચા સહિતના એકમોના સભ્‍યો સામેલ થશે.

૩ થી ૯ ઓકટોબર વચ્‍ચે પ્રદેશ, જિલ્લા, તાલુકા સ્‍તરે સેમીનાર યોજાશે. જેમાં આજના ભારતમાં સામાજિક, રાજકીય અને આર્થિક બાબતોની ચર્ચા થશે.

(11:09 am IST)