Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ચિદમ્બરમને મોટો ફટકો : ૧૯મી સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે

૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટનો આદેશ :કોર્ટના આદેશ બાદ પૂર્વ નાણાપ્રધાનને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા કપિલ સિબ્બલની દલીલો ફગાવી દેવાઈ : કોંગ્રેસના નેતાની મુશ્કેલીઓ વધી

નવી દિલ્હી,તા. ૫ ઃ પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસના શક્તિશાળી નેતા પી ચિદમ્બરમની છુટી જવાની આશા ઉપર આજે પાણી ફરી વળ્યું હતું. કારણ કે, સુપ્રીમ કોર્ટે આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં ઇડીની ધરપકડની સામે વચગાળાની જામીન અરજીને ફગાવી દીધી હતી. મોડેથી ચિદમ્બરમને મોટો ફટકો પડ્યો હતો. જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હજુ સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેલા ચિદમ્બરમને હવે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. દિલ્હીની કોર્ટે આજે આઈએનએક્સ મિડિયા મામલામાં પર્વ નાણામંત્રી ચિદમ્બરમને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો. ચિદમ્બરમને હવે ૧૯મી સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં રહેવું પડશે. કોર્ટના આદેશ બાદ ચિદમ્બરમને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. સ્પેશિયલ જજ અજયકુમારે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ તરફથી એવી દલીલોને ફગાવી દીધી હતી કે તેમને અસીલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા જોઇએ.

       બે દિવસની સીબીઆઈ કસ્ટડી ખતમ થયા બાદ તપાસ સંસ્થાએ આજે ચિદમ્બરમને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ગાળા દરમિયાન સીબીઆઈએ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી જ્યારે ચિદમ્બરમના વકીલ સિબ્બલે આનો વિરોધ કર્યો હતો. આ પહેલા દિવસમાં સુપ્રીમ કોર્ટે મોટા ઘટનાક્રમ વચ્ચે ઇડીની રજૂઆતને યોગ્ય ઠેરવી હતી. ચિદમ્બરમની અરજીને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સામાન્યરીતે આર્થિક અપરાધમાં આગોતરા જામીન અપાતા નથી. તથ્યો અને પરિસ્થિતિ પર ધ્યાન રાખીને આ કેસ આગોતરા જામીન માટે યોગ્ય નથી. ચિદમ્બરમને સીબીઆઈએ રાઉજ એવેન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. તેમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે, તેમના અસીલે ઇડી સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે તેમને આઇએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં ઇડીની ધરપકડની સામે વચગાળાની જામીન અરજીને ફગાવી દીધી હતા. ચિદમ્બરમે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા આઇએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં જામીન નહીં આપવાના દિલ્હી હાઇકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની આ અરજી પર પોતાનો ચુકાદો ૨૯મી ઓગષ્ટના દિવસે અનામત રાખ્યો હતો. આજે જસ્ટીસ આર ભાનુમતિ અને જસ્ટીસ એએસ બોપન્નાની બેંચે કહ્યુ હતુ કે આ મામલો આગોતરા જામીન આપવા લાયક નથી. હાલના સમયમાં ચિદમ્બરમને જામીન મળવાથી તપાસને અસર થશે.

         ટોપ કોર્ટે કહ્યુ હતુ કે તપાસ સંસ્થાને આ મામલે ઉંડી તપાસ કરવાની જરૃર દેખાઇ રહી છે.ચિદમ્બરમની અરજી દિલ્હી હાઈકોર્ટના ૨૦મી ઓગસ્ટના ચુકાદાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા આઇએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદથી ચિદમ્બરમની મુશ્કેલીઓ સતત વધી રહી હતી. ચિદમ્બરમના મામલામાં કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી તરફથી ધારદાર દલીલો કરવામાં આવી રહી હોવા છતાં ચિદમ્બરમને કોઇપણ પ્રકારની રાહત મળી રહી નથી. દિલ્હી હાઈકોર્ટ તરફથી તેમની આગોતરા જામીન અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ ચિદમ્બરમની હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી. .સીબીઆઈએ ૧૫મી મે ૨૦૧૭ના દિવસે એક કેસ દાખલ કર્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આઈએનએક્સ મિડિયા ગ્રુપને વિદેશમાંથી ૩૦૫ કરોડ રૃપિયાનું રોકાણ મેળવવા માટે એફઆઈપીબી દ્વારા અપાયેલી મંજુરીમાં મોટાપાયે ગેરરીતિ થઇ હતી. અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જોકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી.

(12:00 am IST)