Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

સોનિયાએ અધ્‍યક્ષપદ છોડયું : ગેહલોટ બનશે પ્રમુખ

પંજાબ કેસરી દૈનિકનો અહેવાલ : કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષા સોનિયા ગાંધીએ પદ પરથી આપ્‍યું રાજીનામુ

નવી દિલ્‍હી તા. ૬ : કોંગ્રેસ કાર્યકારી અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોને ટાંકીને પંજાબ કેસરીએ આ મુજબ જણાવ્‍યું છે. જણાવ્‍યું કે સોનિયા ગાંધીએ અધ્‍યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્‍યાએ અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્‍યક્ષ બની શકે છે. તમને જણાવી દઈએ કે અશોક ગેહલોત રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી છે.

વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ તત્‍કાલીન રાષ્ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્‍વીકારતા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સોનિયા ગાંધીને ફરીથી વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્‍યા હતા. આ પછી કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીને ફરીથી અધ્‍યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી, પરંતુ રાહુલે જવાબદારી લેવાનો ઈન્‍કાર કરી દીધો હતો.

છેલ્લા ૩ વર્ષથી કોંગ્રેસના નેતાઓ સતત પૂર્ણ પ્રમુખની માંગણી કરી રહ્યા છે. સોનિયા ગાંધીની તબિયત સારી નથી. રાહુલ બાદ આ જવાબદારી પ્રિયંકા ગાંધીને આપવાનું કહેવાયું હતું. પરંતુ આ બધું હોવા છતાં કોંગ્રેસ હજુ સુધી પોતાના રાષ્ટ્રીય અધ્‍યક્ષની પસંદગી કરી શકી નથી. આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસે કહ્યું હતું કે તે ઓગસ્‍ટમાં તેના રાષ્ટ્રીય અધ્‍યક્ષની પસંદગી કરશે.

ચૂંટણી પહેલા કોંગ્રેસ રાજસ્‍થાનમાં મોટો ફેરબદલ કરી શકે છે. અશોક ગેહલોતના સ્‍થાને સચિન પાયલટને મુખ્‍યમંત્રી બનાવવામાં આવી શકે છે. ગેહલોતને દિલ્‍હી બોલાવી શકાય છે. નોંધનીય છે કે રાજસ્‍થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. હાલમાં રાજસ્‍થાનમાં કોંગ્રેસની સરકાર છે અને તેની સામે સત્તા બચાવવાનો મોટો પડકાર છે.

(11:37 am IST)