Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ટીવી એકટર સમીર શર્માએ કરી આત્મહત્યા

સમીર શર્માનો મૃતદેહ ઘરમાં પંખા સાથે લટકાયેલો મળ્યો

મુંબઇ તા. ૬ : ૪૪ વર્ષીય સમીર શર્માએ બુધવાર (પાંચ ઓગસ્ટ)ના રોજ આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોનામતે, ૪૪ વર્ષીય સમીરે મલાડ સ્થિત પોતાના ભાડાના ફલેટમાં રસોડામાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. સમીર મલાડ વેસ્ટમાં અહિંસા માર્ગ પર નેહા CHS નામની બિલ્ડિંગમાં રહેતો હતો. સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં જ અહીંયા રહેવા આવ્યો હતો. હાલમાં સમીર 'યે રિશ્તે હૈં પ્યાર કે'માં કુહૂ (કાવેરી પ્રિયમ)ના પિતાનો રોલમાં જોવા મળતો હતો. 'યે રિશ્તા કયા કહેલાતા હૈં'માં અક્ષરાના ભાઈની ભૂમિકા પણ સમીરે ભજવી હતી.

પોલીસના મતે એકટરે બે દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. એકટર સાથે જોડાયેલા સૂત્રોના મતે, છેલ્લાં થોડાં વર્ષથી સમીરની તબિયત સારી નહોતી અને તેને કારણે તે દવાઓ લેતો હતો. જોકે, થોડાં મહિનાથી તેની તબિયતમાં સુધારો થયો હતો અને તે સેટ પર પણ આવતો હતો. જોકે, લોકડાઉન બાદથી તેનો ટ્રેક શરૂ થયો નહોતો.

બુધવારના રોજ નાઈટ ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીરના શબને જોયું હતું અને સોસાયટીના લોકોને આ અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસ આવી હતી. સુસાઈડ નોટ ના મળવાથી પોલીસને સમીરે કેમ આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકી નથી. મલાડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જયોર્જ ફર્નાડિઝે કહ્યું હતું કે હાલમાં આકસ્મિક મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.

સમીર શર્મા મૂળ દિલ્હીનો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બેંગલુરૂ ગયો હતો અને અહીંયા તેણે એડ એજન્સીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે એકિટંગ વર્લ્ડમાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવી ગયો હતો.

સમીર 'જયોતિ', 'કહાની ઘર ઘર કી', 'લેફટ રાઈટ લેફટ', 'ઈસ પ્યાર કો કયા નામ દૂ', 'કયોંકી સાસ ભી કભી બહુ થી', 'ગીત હુઈ સબસે પરાઈ', '૨૬/૧૨', 'દિલ કયા ચાહતા હૈં', 'વો રહને વાલી મહલો કી', 'આયુષ્માન ભવઃ', 'ભૂતુ'માં જોવા મળ્યો હતો. સમીરની ડેબ્યૂ ફિલ્મ 'હંસી તો ફંસી' હતી. સમીર 'ઈત્તેફાક'માં પણ જોવા મળ્યો હતો.

(2:45 pm IST)