Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઈનડોનેશિયામાં ફરી સાતથી વધુની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ

ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરાઈ : લામબાક દ્વિપમાં રહેતા લોકોમાં ફેલાયેલી વ્યાપક દહેશત

જાકાર્તા, તા. ૫ : ઈન્ડોનેશિયાના લોમબાક દ્વિપમાં આજે પ્રચંડ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ભારે તબાહી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે હજુ સુધી મોતના આંકડાને લઈને કોઈ માહિતી મળી શકી નથી. રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા સાતથી વધુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભૂકંપનો આંચકો આવ્યા બાદ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી ચુકી છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટર અંદર હોવાનું જાણવા મળ્યું છે. એક સપ્તાહની અંદર જ બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. સપ્તાહ પહેલા જ અહીં ભૂંકપમાં ૧૭ લોકોના મોત થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. લોકોને દરિયાથી દુર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. ઉંચાણવાળા વિસ્તારો પર જતા રહેવા કહેવામાં આવ્યું હતું. દહેશતમાં ન રહેવા માટે પણ કહેવામાં આવ્યું હતું. લામબાકના નિવાસીઓએ ક્યું હતું કે આંચકો એટલો પ્રચંડ હતો કે લોકો ઘરમાંથી બહાર દોડી ગયા હતા. લોકોમાં ભારે દહેશત દેખાઈ રહી હતી. એક સપ્તાહ પહેલા જ ૬.૪ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેમાં ૧૭ લોકોના મોત થયા હતા. સેંકડો ઈમારતોને નુકસાન થયું હતું. ઈન્ડોનેશિયા વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જે રીંગ ઓફ ફાયર ઉપર સ્થિત છે. જ્યાં કુદરતી હોનારતોની સંભાવના સૌથી વધારે રહે છે. ૨૦૦૪માં ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વિપ ઉપર ૯.૪ની તીવ્રતાનો પ્રચંડ આંચકો આવ્યો હતો. જેના કારણે વિનાશકારી સુનામીના લીધે વિશ્વના ૧૨ દેશોમાં નુકસાન થયું હતું. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ સુનામીમાં ૨૨૦૦૦૦ લોકોના મોત થયા હતા. એકલા ઈન્ડોનેશિયામાં ૧૬૮૦૦૦ લોકોના મોત થયા હતા. અગાઉના પ્રચંડ આંચકાઓની યાદ તાજી થઈ હતી.

(12:00 am IST)