Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ અરજીઓ મગાવવાનું શરૃ કર્યું

કેનેડામાં કાયમી વસવાટ કરવાનું કામ ઠપ થઈ ગયું હતું : ઇમિગ્રેશન અંગેના તમામ નિયંત્રણો દૂર કરાયા અને ૬ જુલાઈથી એક્સપ્રેસ એન્ટ્રીના ડ્રો શરૃ કરવાની જાહેરાત

ટોરેન્ટો, તા.૬ : વિદેશમાં અભ્યાસ માટે કે કાયમી વસવાટ કરવા જવા માંગતા લોકોમાં કેનેડા એક મનપસંદ દેશ તરીકે ઉભરી આવ્યો છે. એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ કેનેડામાં કાયમી વસવાટ કરવાનું કામ કોવિડના કારણે ઠપ થઈ ગયું હતું, પરંતુ ૬ જુલાઈથી કેનેડાએ ફરી અરજીઓ મગાવવાનું શરૃ કર્યું છે. કેનેડાના ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ હેઠળ ઉમેદવારો કેનેડાના પીઆર માટે અરજી કરી શકે છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી સિન ફ્રેઝરે જાહેરાત કરી છે કે ઇમિગ્રેશન અંગેના તમામ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે અને ૬ જુલાઈથી ફરીથી એક્સપ્રેસ એન્ટ્રીના ડ્રો શરૃ થશે. કોવિડના કારણે લગભગ દોઢ વર્ષ અગાઉ કેનેડા સરકારે ઇમિગ્રેશન પર નિયંત્રણો મુક્યા હતા. ફ્રેઝરે ટ્વિટર પર જણાવ્યું કે ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ, ફેડરલ સ્કીલ્ડ ટ્રેડર્સ પ્રોગ્રામ અને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ હેઠળ કાયમી વસવાટ માટે અરજી મગાવવામાં આવે છે.

છેલ્લા કેટલાક સમયથી કેનેડાની ઈમિગ્રેશન નીતિની ટીકા થઈ રહી છે કારણ કે એપ્લિકેશનના પ્રોસેસિંગમાં ઘણો સમય લાગે છે. સત્તાવાર રેકોર્ડ પ્રમાણે ૬ જૂન ૨૦૨૨ સુધીમાં કેનેડા પાસે ઇમિગ્રેશનને લગતી ૨૪ લાખ અરજીઓનો બેકલોગ થયો હતો. ત્યારબાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આ વિલંબનો ઉકેલ લાવવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી.

૨૫ જૂને એવા અહેવાલ આવ્યા હતા કે કેનેડાની સરકાર આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સને વર્ક પરમિટ એક્સટેન્શન આપી રહી છે. આ સુવિધા એવા લોકો માટે છે જેમની પાસે વર્ક પરમિટ નથી અથવા ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ વચ્ચે એક્સપાયર થઈ રહી છે.

ફ્રેઝરે તે સમયે જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ હેઠળ વધુ ૧૮ મહિના માટે ઓપન વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડાના અર્થતંત્રમાં કોવિડ વખતે ઘટાડો થયો હતો, પરંતુ ત્યાર પછી તેમાં રિકવરી આવી રહી છે. હજુ હજારો જોબ ભરવાની બાકી છે. ઇમિગ્રેશન મંત્રી ફ્રેઝરે ટ્વિટમાં જણાવ્યું હતું કે સખત મહેનત કરતા આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટેસે તેમના સમુદાય અને ઇકોનોમીમાં અસાધારણ યોગદાન આપ્યું છે.

કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ તેના દરેક પ્રોગ્રામ માટે એક બેઝલાઈન સમાન છે અને કેનેડામાં વસવાટ માટે અરજી કરવા માંગતા દરેક ઉમેદવારે તેનું પાલન કરવું પડે છે. ઉમેદવારે પોતાની લાયકાતના ધોરણોને ચેક કરીને ત્યાર પછી આઈઆરસીસીની વેબસાઈટ પર પોતાની પ્રોફાઈલ અપલોડ કરવાની હોય છે. ત્યાર પછી સીઆરએસનો ઉપયોગ કરીને એક સ્કોર મેળવવામાં આવે છે. તેમાં વ્યક્તિના વ્યવસાય, અનુભવના વર્ષ, શિક્ષણ અને ભાષાના કૌશલ્યના આધારે પસંદ કરવામાં આવે છે.

 

(8:08 pm IST)