Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

પિતાએ ગર્ભવતી દીકરી-જમાઈને દાતરડાથી મોતને ઘાટ ઉતારી દીધા

ચેન્નાઈ, તા.૬: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતાના ભાષણમાં અવારનવાર ન્યુ ઈન્ડિયા શબ્દનો પ્રયોગ કરે છે. આપણા દેશે ખાસ્સી પ્રગતિ કરી છે પરંતુ અમુક કિસ્સા એવા પણ બને છે જે આપણને વિચારવા મજબૂર કરી દે કે શું ખરેખર આપણે જૂના વિચારોમાંથી બહાર આવ્યા છીએ ખરા? આવો જ એક ભયાનક અનુભવ તામિલ નાડુમાં બન્યો હતો. મા-બાપની ઈચ્છા વિરુદ્ઘ એક કપલે લગ્ન કર્યા હતા. આ વાતથી નારાજ છોકરીના પિતાએ તુતિકોરીન જિલ્લામાં બંનેની હત્યા કરી નાંખી હતી.

બંનેનું નામ ટી સોલઈરાજા અને એ. જોથી છે. બંને નમકની કંપનીમાં કામ કરતા હતા. પોલીસે જોથીના પિતા અલગરની ધરપકડ કરી છે. કપલ લ્ઘ્ કોમના છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર સોલૈરાજા જોથી સાથે પ્રેમમાં પડ્યો હતો. જોથીના પિતાએ તેમના સંબંધોનો વિરોધ કર્યો હતો. બંને વાલીની મરજી વિરુદ્ઘ ત્રણ મહિના પહેલા મંદિરમાં પરણી ગયા હતા અને કુલાથુર ગામમાં સ્થાયી થયા હતા.

ગુરુવારે સવારે જોથીના પિતા ટુ વ્હીલર પર આવ્યા અને દાતરડુ લઈ બંનેને મારી નાંખ્યા હતા. આંતર્જ્ઞાતીય લગ્નમાં મા-બાપે બાળકની હત્યા કરવા સુધીનું પગલુ ભર્યું હોય એવો આ પહેલો કિસ્સો નથી. ગયા સપ્ટેમ્બર મહિનામાં ૨૩ વર્ષના પ્રણય કુમારની સ્થાનિક હોસ્પિટલની બહાર તેની પ્રેગનેન્ટ પત્નીની નજર સામે જ હત્યા કરાઈ હતી. સીસીટીવી ઈમેજમાં જણાયું હતું કે વ્યકિતએ તે વિસ્તારની રેકી કરી છે.

(11:31 am IST)