Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અમરનાથ યાત્રા સતત ત્રીજા દિવસે બંધ : લોકો અટવાયા

૩૦૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ હાલમાં અટવાયા : જમ્મુથી આગળ વધવા માટે શ્રદ્ધાળુઓને મંજુરી અપાઇ નહીં : ખરાબ હવામાન- વરસાદના કારણે હાલત કફોડી

શ્રીનગર,તા. ૬ : ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે આ વખતે અમરનાથ યાત્રામાં ગયેલા શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખરાબ હવામાનના કારણે આજે સતત ત્રીજા દિવસે અમરનાથ યાત્રાને બંધ રાખવામાં આવી હતી. જમ્મુથી શ્રદ્ધાળુઓને બંને કેમ્પ માટે આગળ વધવાની મંજુરી આપવામાં આવી રહી નથી. રસ્તા ખરાબ હવામાન અને વરસાદના કારણે બગડી ગયા છે. જોખમી પણ બની ગયા છે. બે બેઝ કેમ્પ સહિત જુદા જુદા માર્ગો અને સ્થળ પર ૩૦ હજારથી વધારે શ્રદ્ધાળુઓ હાલમાં અટવાઇ પડ્યા છે. અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૬૮ હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શક્યા છે. જમ્મુ કાશ્મીરમા ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા ઉપર પ્રતિકુળ અસર થઇ છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આના પરિણામ સ્વરુપે બંને જગ્યાએથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. પહેલગામ અને બાલતાલમાં યાત્રાને રોકી દેવામાં આવી છે.  કાશ્મીર ખીણમાં અધિકારીઓએ ખરાબ હવામાન હોવાના લીધે યાત્રાને રોકી દીધી છે. પોલીસે કહ્યું છે કે, બાલતાલ અને પહેલગામ બંને બેઝકેમ્પ ખાતે યાત્રા રોકી દેવામાં આવી છે.  ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ખરાબ હવામાનના લીધે અમરનાથ યાત્રીઓ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બંને માર્ગો ઉપર રસ્તા ખરાબ થઇ ગયા છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. ખરાબ હવામાનના લીધે પહેલા દિવસે માત્ર ૧૦૦૭ શ્રદ્ધાળુ પવિત્ર ગુફામાં બનનાર શિવલિંગના દર્શન કરી શક્યા હતા.  બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. ૨૬મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રાખવામાં આવ્યા છે. હાલમાં જમ્મુ કાશ્મીરના ગંદરબાલ જિલ્લામાં ભેખડ પડતા પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અમરનાથ યાત્રાના બાલટાલવાળા રસ્તા પર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા હતા. જેમાં અન્ય ત્રણ ઘાયલ પણ થયા છે. બાલટાલ રૂટ પર રેલપત્રી અને બ્રારી માર્ગ વચ્ચે ભેખડો ધસી પડવાની ઘટના બની છે. અમરનાથ યાત્રામાં હજુ સુધી જુદા જુદા કારણોસર કુલ ૧૧ના મોત થયા છે. સોમવાર અને મંગળવારના દિવસે જુદા જુદા કારણોસર ત્રણ લોકોના મોત થયા હતા.  વાર્ષિક અમરનાથ યાત્રા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે.  આ વખતે અન્ય વર્ષોની સરખામણીમાં વધારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. ગુજરાતની એક મહિલાનુ પણ અમરનાથ યાત્રામાં મોત થયુ છે. મોટી સંખ્યામાં ગુજરાતી લોકો પણ અન્ય શ્રદ્ધાળુઓ સાથે અમરનાથમાં અટવાયા છે.

(12:19 pm IST)