Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

આજે ૧૬મી પુણ્યતિથિ

ધીરૂભાઇ અંબાણીની ટેકનોલોજી પ્રત્યેની શ્રધ્ધા, જોડાણ અને આગ્રહના ફળ ચાખતી ભારતની સામાન્ય જનતા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આઈ.પી.ઓ લાવ્યાના ૪૦ વર્ષની ઉજવણીના પ્રસંગે આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર શ્રી મૂકેશ ડી. અંબાણીએ તેમના પિતાશ્રી અને કંપનીના સ્થાપક ચેરમેન ધીરુભાઇ અંબાણીને શ્રદ્ઘાંજલી આપતાં જણાવ્યું હતું કે તેઓ ધીરુભાઇ પાસેથી સાહસ, સહાનુભૂતિ, ટેકનોલોજી અને કૌશલમાં શ્રદ્ઘા કેળવવાના ગુણો શીખ્યા હતા. આ ગુણોના કારણે જ આજે તેઓ આર.આઇ.એલ.ને દિશાનિર્દેશ આપીને નવી ઊંચાઇ પર લઇ જઇ શકયા છે, એમ તેમણે જણાવ્યું હતું.

ધીરૂભાઇ અંબાણીની ૧૬મી પુણ્યતિથિએ તેમના ટેકનોલોજી પ્રત્યેના જોડાણ અને શ્રદ્ઘા અંગે વાત કરવી છે. ધીરુભાઇ અંબાણીનું વિઝન ઘણું વિશાળ હતું. તેઓ પોતાના વ્યવસાય ક્ષેત્રમાં થઇ રહેલાં નિત-નવાં સંશોધનો, આવિષ્કારો અને જાગતિક પ્રવાહોથી પોતાની જાતને સતત અવગત રાખતા હતા. આ જ કારણ છે કે તેઓ પોતાના સમયથી ઘણું આગળ વિચારી શકતા હતા.

એડનથી ભારત પરત આવ્યા બાદ મરી-મસાલા, યાર્ન વિગેરેના વ્યાપારમાં હાથ અજમાવ્યા પછી ઉત્પાદન ક્ષેત્રે ઝૂકાવવાનું નક્કી કર્યું અને અમદાવાદના સીમાડે આવેલા નરોડા વિસ્તારમાં કાપડના ઉત્પાદન માટે નવું એકમ શરૂ કર્યું. ધીરૂભાઇ અંબાણી સારી રીતે જાણતા હતા કે ટેકનોલોજીમાં કરવામાં આવેલું રોકાણ કયારેય એળે જવાનું નથી. તદ્ઉપરાંત તેનાથી ઓછા સમયગાળામાં ઉત્તમ ગુણવત્તા ધરાવતાં ઉત્પાદનો મેળવી શકાય છે. વળી ઉત્પાદનની ગુણવત્તામાં પણ સાતત્યતા જળવાઇ રહે છે.

ધીરૂભાઇની ટેકનોલોજીમાં આ શ્રદ્ઘાને કારણે રિલાયન્સ ગ્રૂપના નરોડા ટેકસટાઇલ એકમને સન ૧૯૭૫માં વિશ્વ બેન્ક તરફથી ભારતના સૌથી મોર્ડન ટેકસટાઇલ કોમ્પલેકસ તરીકે નવાજવામાં આવ્યું હતું. તે સમયગાળામાં જયારે અમદાવાદમાં માતબર કાપડ મિલો એક યા બીજા કારણે ટપોટપ બંધ પડવા માંડવાની શરૂઆત થઇ હતી ત્યારે ધીરૂભાઇની નરોડા મિલમાં મોર્ડન ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવતા કાપડને એટલી સ્વીકૃતિ પ્રાપ્ત થઇ કે 'વિમલ' બ્રાન્ડનું નામ ઘર-ઘરમાં જાણીતું  બની ગયું.

રિલાયન્સ દ્વારા જામનગરમાં જયારે પ્રથમ રિફાઇનરીની સ્થાપના કરવામાં આવી ત્યારે પણ ધીરુભાઇએ તે સમયની સર્વોત્ત્।મ ટેકનોલોજીના ઉપયોગનો આગ્રહ રાખ્યો હતો. તેના કારણે જ દુનિયાની શ્રેષ્ઠ રિફાઇનરીઓમાં ખૂબ ઊંચો કોમ્પલેકિસટી ઇન્ડેકસ ધરાવતી રિફાઇનરીઓમાં રિલાયન્સ રિફાઇનરી મોખરાનું સ્થાન ધરાવે છે. જામનગર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પલેકસનો નેલ્સન કોમ્પલેકિસટી ઇન્ડેકસ ૧૪ છે. એટલું જ નહિ, આજે રિલાયન્સની જામનગર રિફાઇનરી કોઇપણ પ્રકારનાં ક્રૂડ ઓઇલનું શુદ્ઘિકરણ કરે છે. ક્રૂડ ઓઇલની ગુણવત્તા તેની મિઠાસ અને ખટાશમાં મપાય છે. વધુ ખટાશવાળું ક્રૂડ ઓઇલ બધી જ રિફાઇનરીઓ, ખાસ કરીને જૂની ટેકનોલોજી ધરાવતી રિફાઇનરીઓ, પ્રોસેસ ન પણ કરી શકે. રિલાયન્સે એવી ટેકનોલોજી અપનાવી જે તમામ પ્રકારનાં ક્રૂડ પ્રોસેસ કરી શકે. વધુમાં, રિલાયન્સની જામનગર રિફાઇનરી દ્વારા પ્રાપ્ત ગ્રોસ રિફાઇનિંગ માર્જિન માત્ર ભારતમાં આવેલી રિફાઇનરીઓ જ નહીં પરંતુ સિંગાપોર રિફાઇનિંગ માર્જિન કરતાં પણ ઊંચું છે. ધીરૂભાઇના અદ્યતન ટેકનોલોજીના ઉપયોગના આગ્રહને કારણે વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવના કારણે સમગ્ર માર્કેટમાં આવેલી કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને રિલાયન્સની રિફાઇનરી નવી ઊંચાઇઓ સર કરી રહી છે.

ધીરુભાઇ અંબાણીના વારસાને આગળ વધારતાં શ્રી મૂકેશ ડી. અંબાણીએ રિલાયન્સના જામનગર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ કોમ્પલેકસમાં સતત નવી ટેકનોલોજીને પ્રાધાન્ય આપ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ કોમ્પલેકસમાં સ્થાપવામાં આવેલું વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું રિફાઇનરી ઓફ ગેસ ક્રેકર કોમ્પલેકસ (આર.ઓ.જી.સી,) પણ નવી ટેકનોલોજી પ્રત્યેની રિલાયન્સની અપ્રતિમ શ્રદ્ઘા દર્શાવે છે. સ્થાપક ચેરમેન ધીરુભાઇના વિઝનના ફળસ્વરૂપે સ્થપાયેલા આ કોમ્પલેકસથી ઉત્પાદન કદમાં તો વધારો થશે જ પરંતુ ઉત્પાદન ખર્ચમાં ઘણી કરકસર થતાં કંપનીની ઉત્પાદકતા તેમજ નફાકારકતામાં વધારો થશે, જેનો લાભ શેરધારકોને પણ મળશે.

શ્રી મૂકેશ ડી. અંબાણીએ ધીરુભાઇની અદ્યતન ટેકનોલોજી પ્રત્યેના જોડાણને આત્મસાત્ કર્યો છે તેનું ઉત્ત્।મ ઉદાહરણ રિલાયન્સ જિયો કરતાં વધારે બીજું શું હોઇ શકે? નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી ૪હ્વક વોલ્ટીને ભારતમાં પ્રચલિત બનાવવાનું શ્રેય રિલાયન્સ જિયોને ફાળે જાય છે. આ નવી ટેકનોલોજીના કારણે ભારતીય ટેલિકોમ માર્કેટમાં આવેલા સકારાત્મક પરિવર્તનથી દેશની જનતાને આર્થિક ફાયદો થવા ઉપરાંત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના 'ડિજીટલ ઇન્ડિયા'ના સ્વપ્નને સાકાર કરવામાં પણ મદદ મળી છે.

ટેકસટાઇલથી માંડીને રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ તેમજ ટેલિકોમના ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીના ઉપયોગનો આગ્રહ રાખતા ધીરુભાઇ અંબાણીના વિઝનના કેન્દ્રમાં સામાન્ય લોકોને થતો લાભ જ રહ્યો છે. ધીરુભાઇ અંબાણીની ટેકનોલોજી પ્રત્યેની શ્રદ્ઘા, જોડાણ અને આગ્રહનાં ફળ ભારતની સામાન્ય જનતાને ચાખવા મળી રહ્યાં છે.

શ્રી પરિમલ નથવાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ તથા રાજય  સભા સાંસદ

 

(11:39 am IST)