Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

આતંકવાદીઓનો ખાત્મો કરવા પોકમાં કેમ્પ પર હુમલાની જરૂર

પાકિસ્તાન સામે ચાર પાંખીય વ્યૂહરચના અપનાવવાની જરૂર : અંકુશરેખા ઉપર અતિ મજબૂત વ્યવસ્થા, ત્રાસવાદીઓ સામે કવર્ટ ઓપરેશન, ઘુસણખોરી રોકવા ઓપરેશન, અન્ય વિવિધ પગલા તાકિદે લેવા માટે જરૂર

નવીદિલ્હી, તા. ૬ : જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં હાલમાં સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ વારંવાર હુમલા કરી રહ્યા છે. રમજાનના પવિત્ર મહિના દરમિયાન સુરક્ષા દળોએ ઓપરેસન ઓલઆઉટને બંધ રાખ્યુ છે ત્યારે પણ પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર કરીને ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાના કૃત્યો થઇ રહ્યા છે. આવી સ્થિતીમાં પોકમાં ચાલી રહેલા કેમ્પ પર ફરી હુમલા કરવાની માંગ ઉઠી રહી છે. પાકિસ્તાનને ફરી બોધપાઠ ભણાવવા માટે માંગ ઉઠી રહી છે. મોટા લશ્કરી અધિકારીઓ પણ આવો જ અભિપ્રાય ધરાવે છે. ત્રાસવાદીઓ વારંવાર પોતાની ઇચ્છા મુજબ હુમલા કરીને પોતાના કાવતરા સફળ સાબિત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો ટેકો ધરાવતા અને તેના દ્વારા તમામ પ્રકારની મદદ દ્વારા આગળ વધી રહેલા આતંકવાદીઓને રોકવા માટે હવે ચારપાંખીય વ્યૂહરચનાની જરૂર હોવાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેના ભાગરુપે અંકુશ રેખા પાર કરીને આતંકવાદી કેમ્પોને નેસ્તનાબૂદ કરવાના વિકલ્પનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ઘુસણખોરી વિરોધી ઓપરેશનને વધુ તીવ્ર કરવાની જરૂર દેખાઈ રહી છે. આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા માટે એલઓસી ઉપર વધારે વ્યૂહાત્મક તૈયારી રાખવાની સાથે સાથે કવર્ટ ઓપરેશનની જરૂરિયાત પણ દેખાઈ રહી છે. મસૂદ અઝહરના નેતૃત્વમાં જૈશે મોહમ્મદના આતંકવાદીઓ અને આઈએસઆઈનો ટેકો ધરાવતા ત્રાસવાદીઓએ  હાલમાં હુમલાઓ કરીને ભારતીય સેનાને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામે હવે વધુ કઠોરતાપૂર્વકની કાર્યવાહીની જરૂર દેખાઈ રહી છે. ગંભીરતાપૂર્વક આગળ વધીને ત્રાસવાદીઓને ખતમ કરવાની માંગ ઉઠી રહી છે. ત્રાસવાદીઓ હુમલો કરે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યૂહરચનાના બદલ આતંકવાદીઓ હુમલો કરે તે પહેલા જ તેમને ખતમ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. ઇઝરાયેલનો દાખલો દુનિયાની સામે છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં ઉરીમાં સેનાના કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ ભારતીય સેનાએ સર્જિકલ હુમલા કરીને વિશ્વમાં પોતાની તાકાત પુરવાર કરી હતી. અંકુશરેખા પેલેપાર અનેક જગ્યાઓ ઉપર ટ્રેનિંગ કેમ્પ ઉપર હુમલા કરાયા હતા. અંકુશરેખા ઉપર પ્રભુત્વ મેળવવા માટે સીધા હુમલાની પણ જરૂરિયાત દેખાઈ રહી છે. બીજી બાજુ ભારત સામે યુદ્ધ છેડવા માટે પાકિસ્તાનને કિંમત ચુકવવાનો પણ સમય આવ્યો છે. અંકુશરેખા ઉપર ઘુસણખોરી થઇ ન શકે તે માટે તૈનાતી વધુ મજબૂત કરવી જોઇએ. અંકુશરેખા નજીક સેનાના કેમ્પો અને એરબેઝ નજીક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી જોઇએ. હાલમાં ખુબ હળવી વાયરન વાડ સાથે આ વિસ્તારો સંરક્ષિત છે. આ સરહદોને વધુ મજબૂત વાડથી સાંકળી લેવાની જરૂર છે.

(12:41 pm IST)