Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

નવી શિક્ષણ નીતિ

ધો.૧૦ બાદ જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતા નથી તેમને ગણિતઃ વિજ્ઞાનમાંથી મળશે મુકિત

દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેવા વિષયો અંક ગણિત અને માનવ જીવન વિજ્ઞાન જેવાનો સમાવેશ કરવા ભલામણ : ૫ વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીને જ બાલવાટીકામાં પ્રવેશ અપાશે : બાલવાટીકાની રચના જે-તે સ્કૂલના પરિસરમાં જ કરવાની રહેશે

નવી દિલ્હી, તા.૬: રાજયમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષય ભણવામાંથી મુકિત મળી શકે છે. નવી શિક્ષણ નીતિના અમલ માટે બનાવેલી ટાસ્ક ફોર્સે સરકાર સમક્ષ પોતાની ભલામણો મોકલી છે. જેમાં ધોરણ ૧૦ બાદ જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં જવા નથી માગતા તેમના માટે ગણિત અને વિજ્ઞાનના બદલે દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેવા અંકગણિત અને માનવજીવન વિજ્ઞાન જેવા વિષયોનો સમાવેશ કરવા ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત હાલમાં ૫ વર્ષ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને ધોરણ ૧માં પ્રવેશ આપી દેવાય છે. પરંતુ હવે ૫ વર્ષની ઉંમર થયા બાદ બાળકને બાલવાટીકામાં પ્રવેશ અપાશે. આ માટે પ્રાથમિક શાળાના પરિસરમાં જ બાલવાટીકાની રચના કરવામાં આવશે.

સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સંદર્ભે રાજયકક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેની તાજેતરમાં મીટિંગ મળી હતી. મીટિંગમાં રાજયકક્ષાએ લેવાનારા નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી અમલીકરણના નિર્ણયો અંગે ટાસ્ક ફોર્સનો એકસૂર જોવા મળ્યો હતો. જેમાં હાલ ૧૦:૨ના શિક્ષણ માળખામાં પરિવર્તન લાવીને નવી ૫+૩+૩+૪ના શૈક્ષણિક અને અભ્યાસક્રમ સંબંધિત માળખાની ભલામણ કરવામાં આવી છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

આ નવા માળખા મુજબ પ્રથમ ૫ વર્ષમાં પૂર્વ પ્રાથમિકના ૩ વર્ષ અને ધોરણ ૧-૨નો સમાવેશ થાય છે. જયારે ત્યારબાદના ત્રણ વર્ષ ધોરણ ૩ થી ૫ના ત્યાર પછી ધોરણ ૬ થી૮ના ત્રણ વર્ષ અને છેલ્લે ધોરણ ૯ થી૧૨ના ચાર વર્ષનો સમાવેશ થાય છે. પ્રથમ પાંચ વર્ષમાં બે વર્ષ આંગણવાડી-પૂર્વ પ્રાથમિકના રહેશે. ત્યારબાદનું એક વર્ષ એટલે કે બાળક પાંચ વર્ષનું થાય ત્યારે બાલવાટીકામાં અભ્યાસ કરશે અને તે પછી ૨ વર્ષ ધોરણ ૧ અને ૨માં ભણશે. આમ, બાળક ૬ વર્ષનું થશે ત્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવશે. બાલવાટીકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જ જે-તે શાળાના પરિસરમાં થવી જોઈએ તેવી ભલામણ પણ કરાઈ છે. બાલવાટીકાના બાળકોને ધોરણ ૧ અને ૨ના જેમ પ્રજ્ઞા અભિગમ દ્વારા પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.

રાજયમાં હાલ માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન વિષય ફરજિયાત રીતે અભ્યાસક્રમમાં રાખવામાં આવે છે. પરંતુ ધોરણ ૧૦ના અંતે આ અભ્યાસક્રમ પૂરો થયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ સિવાય સામાન્ય પ્રવાહ તેમજ વ્યવસાયલક્ષી પ્રવાહ તરફ વળે છે. આ વિદ્યાર્થીઓ માટે ગણિત તેમજ વિજ્ઞાન આગળના અભ્યાસ માટે ખાસ ઉપયોગી થતું નથી. આથી વિજ્ઞાન પ્રવાહ સિવાયના અન્ય કોર્સમાં આગળ વધવા માગતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક કક્ષાએ ગણિત અને વિજ્ઞાનના વિકલ્પમાં દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેના અંકગણિત તેમજ માનવજીવન વિજ્ઞાન જેવા વિષયો ઉમેરવામાં આવે તેવી ભલામણ કરાઈ છે.

રાજયમાં ધોરણ ૧માં હાલ ભાષા તરીકે ગુજરાતી અને ગણિત ભણાવવામાં આવે છે. જો કે, ત્રિભાષા સૂત્રના અમલીકરણ અન્વયે ધોરણ ૧માં ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી વિષયની શરૂઆત કરવામાં આવશે. ધોરણ ૧ થી ૩ દરમિયાન શીખવાતી અંગ્રેજી ભાષા જે તે ધોરણની પરીક્ષાનો ભાગ નહીં હોય. ધોરણ ૪થી અન્ય વિષયોની સાથે અંગ્રેજીની પરીક્ષા પણ લેવામાં આવશે.

ધોરણ ૩, ૫ અને ૮ના અંતે બાળકો માટે ધોરણ ૧૦ અને ૧૨ના જેમ પરીક્ષાનું આયોજન રાજયકક્ષાએ કરવાનું રહેશે. આ અન્વયે ધોરણ ૩, ૫ અને ૮ના અંતે પરીક્ષા લેવાની જવાબદારી જીસીઈઆરટી તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંકલનમાં રાજય પરીક્ષા બોર્ડને આપવામાં આવે તેવી પણ રજૂઆત થઈ છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ તમામ સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે.

રાઈટ ટુ એજયુકેશનની જોગવાઈ પ્રમાણે ૬૦ કરતાં ઓછી સંખ્યા હોય અને ધોરણ ૧ થી ૫ ના સ્કૂલ હોય તેને ૧ કિ.મીની ત્રિજયામાં આવેલી વધુ સંખ્યાવાળી ધોરણ ૧ થી ૫ના સ્કૂલમાં મર્જ કરવી. ધોરણ ૬ થી ૮ ચાલતું હોય અને ૪૫દ્ગક સંખ્યા હોય તેમજ ૩ કિ.મીની ત્રિજયામાં વધુ સંખ્યાવાળી સ્કૂલ હોય તેમાં મર્જ કરવી. મર્જર વખતે ધ્યાન રાખવું કે હાઈવે પસાર થતો હોય અથવા નદી હોય તો શાળા મર્જ કરી શકાશે નહીં.

(11:36 am IST)