Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

રિલાયન્સ જીઓ ખોટા આરોપો અંગે માફી માંગેઃ COAI અને રિલાયન્‍સ જીઓ વચ્‍ચેનો વિવાદ વકર્યો

નવી દિલ્હીઃ દેશના ટોચના ટેલિકોમ જૂથ રિલાયન્‍સ જીઓ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI) વચ્‍ચે વિવાદ વકરતો જાય છે.

ખોટા આરોપો કરવા બદલ રિલાયન્સ જીઓ માફી માંગે તેવી માંગણી સાથે ટેલિકોમ ઉદ્યોગના જૂથ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)એ દલીલ કરી છે કે, જીઓ દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપોને કારણે સંગઠનની પ્રતિષ્ઠા ખરડાઈ છે. તેણે જીઓને ચેતવી હતી કે, ચોક્કસ પુરાવા વગર તે કાનૂની પગલાં ભરવાની ધમકીઓ ના આપે.

આમ, ટેલિકોમ ઉદ્યોગના નિયમનકારે આપેલા પ્રિડેટરી પ્રાઇસિંગ ટેરિફ (આક્રમક ભાવના પ્લાન)ના આદેશ મુદ્દે બંને વચ્ચે ચાલતો જાહેર વિવાદ વધુ ઘેરો બન્યો છે. રસપ્રદ વાત એ છે કે, ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા, રિલાયન્સ જીઓ વગેરે ટેલિકોમ કંપનીઓનું પ્રતિનિધિત્વ COAI દ્વારા કરવામાં આવે છે.

28 ફેબ્રુઆરીએ જીઓને સંબોધીને લખેલા પત્રમાં COAIએ ચેતવણીના સૂરમાં જણાવ્યું છે કે, મુકેશ અંબાણીની કંપની દ્વારા COAI અને તેના એક્ઝિક્યુટિવ્સ સામે ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવવામાં આવશે તો તેની સામે કાનૂની પગલાં ભરવામાં આવશે. સંગઠન તેના ૨૦મી ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલા નિવેદનને વળગી રહ્યું છે કે, TRAI દ્વારા છેલ્લા 12થી 18 મહિનામાં અનેક નિયમો અને કાયદાની જાહેરાત કરીને અને તાજેતરમાં જ આક્રમક ભાવ અંગે આદેશ આપીને રિલાયન્સ જીઓની તરફેણ કરવામાં આવી છે.

COAI દ્વારા 20મી ફેબ્રુઆરીએ જાહેર થયેલા નિવેદનને પગલે રિલાયન્સ જીઓએ 22મી ફેબ્રુઆરીએ COAI અને તેના ડિરેક્ટર જનરલ રાજન મેથ્યૂસને માનહાનિની નોટિસ પાઠવી હતી અને 48 કલાકમાં જાહેરમાં માફી માંગવાની માંગણી કરી હતી તેમજ જણાવ્યું હતું કે, નુકસાનીની માંગણી સાથે તે કોર્ટમાં જવાનો અધિકાર ધરાવે છે.

જીઓએ વધુમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે, COAI હવે એરટેલ, વોડાફોન અને આઇડિયા માટે જ કામ કરે છે અને આ કંપનીઓ માટે જ રજૂઆતો કરે છે. બાદમાં જીઓએ ૨૬ ફેબ્રુઆરીએ ફરી લખેલા પત્રમાં પણ COAI અને મેથ્યૂઝને ભારપૂર્વક ચેતવ્યા હતા.

COAI દ્વારા લખવામાં આવેલા તાજા પત્રમાં જીઓના સિનિયર એક્ઝિક્યુટિવ કપૂર સિંઘ ગુલિયાનીને સંબોધીને જણાવવામાં આવ્યું છે કે, અમારી સામે ખોટા આરોપો લગાવવા બદલ રિલાયન્સ જીઓને ચેતવવામાં આવે છે અને જાહેરમાં જે નિવેદનો કરવામાં આવ્યાં હતાં તેને પાછા ખેંચી લેવાની સૂચના આપીએ છીએ. કંપની જાહેરમાં માફી માંગે અને સચોટ તથા નક્કર માહિતી વગર અમને કોર્ટમાં લઈ જવાની ધમકી આપવાનું બંધ કરવામાં આવે.

(4:58 pm IST)