Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

આધારમાં માહિતી અપડેટ કરવા પણ લાગશે GST!

લો કરલો બાત... આધાર અપડેશન સર્વિસ પર લાગશે ૧૮ ટકા જીએસટી

નવી દિલ્હી તા. ૬ : આધાર કાર્ડને સરકારે હવે લગભગ દરેક કામ માટે જરૂરી બનાવી દીધું છે. આધાર કાર્ડ બનાવવા માટે એનરોલમેન્ટ કરવાનું ફ્રી છે, પરંતુ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર સેન્ટર પર આધારમાં ડિટેલ્સ અપડેટ કરાવવાના ચાર્જમાં ફેરફાર કર્યો છે. UIDAIએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.

હકીકતમાં આધાર અપડેશનની સર્વિસને હવે ૧૮ ટકા જીએસટીના માળખા અંતર્ગત લાવી દેવાઈ છે. આધાર સેન્ટર પર આધાર અપડેટ કરાવવાની ફી ૨૫ રૂપિયા છે. તેના પર ૧૮ ટકા જીએસટી લાગશે. આ રીતે લગભગ ૫ રૂપિયા ટેકસ આપવો પડશે. એટલે કે હવે આધાર અપડેટ કરાવવા માટે લગભગ ૩૦ રૂપિયા આપવા પડશે.

તો UIDAIએ ટ્વીટમાં કહ્યું છે કે, 'જો કોઈપણ સેન્ટર પર તેનાથી વધુ ફી લેવામાં આવે છે, તો ફી ન આપો, તેની અમને જાણ કરો. અમે ભ્રષ્ટાચારને બિલકુલ ચલાવી નહીં લઈએ.' UIDAIનું કહેવું છે કે, 'જો કોઈને વધુ રૂપિયા આપવા કહેવાય છે, તો સીધો અમને રિપોર્ટ કરો. તે અમને પર્સનલ મેસેજ કરે. મેસેજમાં આધાર સેન્ટરનું પુરું નામ, એનરોલમેન્ટ એજન્ટનું નામ ઉપરાંત તેનો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપો. અમે ફરિયાદના આધારે કાર્યવાહી કરીશું.'

UIDAIએ કહ્યું છે કે, 'જો તમે તમારા આધાર કાર્ડની કલર પ્રિન્ટ કઢાવો છો તો તેના માટે ૨૦ રૂપિયા આપવા પડશે. જયારે બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટ આઉટ માટે ૧૦ રૂપિયા આપવાના છે. જો બાળકોની બાયોમેટ્રિક ડિટેલ્સ અપડેટ કરાવવાની છે તો તે ફ્રી છે. જોકે આધાર કાર્ડ ઘરેબેઠા જ ઓનલાઈન અપડેટ કરાવી શકાય છે. ઓનલાઈન અપડેટ કરાવવા માટે કોઈ ફી નથી આપવાની હોતી.'(૨૧.૫)

(10:15 am IST)