Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સોનિયા ગાંધીએ કેટલાક ખોટા નિર્ણયો લીધાઃ કેટલાક ઘમંડી નેતાઓએ કોંગ્રેસની દુર્ગતિ કરી

પ્રણવ મુખર્જીના પુસ્તકમાં સોનિયા અંગે ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી, તા. ૬ :. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને એક સમયના કોંગ્રેસના કદાવર નેતા રહી ચૂકેલા પ્રણવ મુખર્જીનું ગયા વર્ષે બ્રેઈન સર્જરી બાદ અવસાન થયુ હતું. હવે તેમને લખેલુ પુસ્તક 'ધ પ્રેસીડેન્સીયલ ઈયર્સ'ના કેટલાક અંશો સામે આવ્યા બાદ જબરી ચર્ચા થઈ રહી છે. તેમા તેમણે ભાજપથી લઈને કોંગ્રેસ અને પીએમ મોદીથી લઈને કેજરીવાલ અંગે વાત જણાવી છે. જો કે તેમના પુસ્તકમાં સૌથી ચોંકાવનારો ઉલ્લેખ છે સોનિયા ગાંધી અંગે. જેના પર પ્રણવે કેટલાક ખરાબ ફેંસલા લેવાનો આરોપ મુકયો છે.

પ્રણવ મુખર્જીએ ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં કોેંગ્રેસના પરાજય પર કહ્યુ હતુ કે એ દરમિયાન પક્ષના પરાજયનું એક મુખ્ય કારણ એ પણ હતુ કે તેઓ લોકોની ઉમ્મીદો અને આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં રહ્યો હતો. મુખર્જીએ નામ લખ્યા વગર કહ્યુ હતુ કે કેટલાક વરીષ્ઠ કોંગ્રેસ નેતાઓની અનુભવહીનતા અને ઘમંડે પણ પક્ષને ભારે નુકશાન પહોંચાડયુ હતું.

પ્રણવે લખ્યુ છે કે મને લાગે છે કે સંકટના સમયમાં પક્ષના નેતૃત્વએ અલગ દ્રષ્ટિકોણથી આગળ આવવુ જોઈતુ હતું. જો હું સરકારમાં નાણામંત્રી તરીકે કામ જારી રાખુ તો હું ગઠબંધનમાં મમતા બેનર્જીને રહેવાનુ સુનિશ્ચિત કરત. આ જ પ્રકારે મહારાષ્ટ્રમાં પણ ખરાબ રીતે પક્ષને સંભાળવામાં આવ્યો. આનુ એક કારણ સોનિયા ગાંધી તરફથી લેવાયેલા કેટલાક ફેંસલાઓ પણ હતા. હું રાજ્યમાં વિલાસરાવ દેશમુખ જેવા મજબૂત નેતાની ગેરહાજરીને કારણે શિવરાજ પાટીલ કે સુશિલકુમાર શિંદેને પાછો લાવત.મુખર્જીએ લખ્યુ છે કે મને નથી લાગતુ કે હું તેલંગણા રાજ્યની રચનાને મંજુરી આપત. મને સંપૂર્ણ ભરોસો હતો કે સક્રીય રાજનીતિમાં મારી હાજરીથી એ સુનિશ્ચિત થઈ જાત કે કોંગ્રેસને એટલો માર ન પડત કે ૨૦૧૪ની ચૂંટણીમાં પડયો હતો.

(11:07 am IST)