Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મોદીજીના બેવડા ધોરણો અને પક્ષપાત જોઈને હું ચકિત થઈ ગયો !...ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમની નારાજગી

રિસેપ્શનમાં મળેલા વડાપ્રધાન સાથે ઘણા સ્ટારે સેલ્ફી લીધી, અમારા મોબાઈલ ફોન આંચકી લેવાયાઃ ગાયકની પોસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ

ચેન્નાઈ, તા. ૫ ­:. પોતાના આખા બોલા સ્વભાવ માટે જાણીતા ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમ તાજેતરમાં જ એક રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જો કે તેમના આવાસ ખાતે જે રીતે તેમની અને અન્યોની આગતા સ્વાગતા કરવામાં આવી તેનાથી તેઓ જરાય ખુશ નથી. એસપી બાલાસુબ્રમણ્યમે ફેસબુક પોસ્ટ લખીને દાવો કર્યો છે કે તેઓ અમુક હસ્તીઓ પ્રત્યે તેમના બેવડા ધોરણો અને તેમના પક્ષપાતને જોઈને ચકિત થઈ ગયા. તેમણે લખ્યુ કે હું તમારો ખૂબ આભારી છું. રામોજી રાવજી (એઈનાડુ) કારણ કે તેમના જ કારણે હું તે રિસેપ્શનમાં ભાગ લઈ શકયો કે જેની યજમાની નરેન્દ્ર મોદીએ ૨૯ ઓકટોબરના રોજ પોતાના ઘરે કરી હતી. તે પરિસરમાં જ સુરક્ષાકર્મીઓ દ્વારા અમારા સેલફોન્સને આંચકી લેવામાં આવ્યા અને અમને તેની ટોકન આપી દેવામાં આવી પરંતુ બોલીવુડ સ્ટાર્સ જ્યારે તેમની સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે હું ચકિત થઈ ગયો. આ એવી બાબત હતી કે જેને જોઈને તમે બોલવા લાગો છો, હમમમ ??? ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્જ વિથિન નામની એક મુલાકાતનું આયોજન કર્યુ હતું.

આ દરમિયાન ત્યાં હાજર રહેલા સુપર સ્ટાર શાહરૂખખાન, આમિરખાન, કૃતિ સૈનન, એકતા કપુર અને કંગના રનૌટ સહિતના તમામ બોલીવુડ હસ્તીઓએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી જ્યારે એસપી બાલાસુબ્રમણ્યમના અને અન્યોના સેલફોન્સને સુરક્ષા લઈને ટોકન પધરાવી દીધા જેને કારણે નાખુશ થયેલા ગાયકે પ્રશ્ન કર્યો કે શા માટે માત્ર બોલીવુડ સ્ટાર્સને જ પીએમ મોદી સાથે સેલ્ફી લેવાની પરવાનગી આપવામાં આવે છે ? નોંધનીય છે કે ગાયકની આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

(3:38 pm IST)