Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અનંતનાગ : ત્રાસવાદીઓનો ફરી ગ્રેનેડ હુમલો, ૧૪થી વધારે ઘાયલ

કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ બીજો ગ્રેનેડ હુમલો : ડીસીની ઓફિસની બહાર ફરીથી ગ્રેનેડ ઝીંકીને ત્રાસવાદી ફરાર થતાં અંધાધૂંધી અને દહેશત ફેલાઈ : ઘાયલોમાં એક પોલીસ જવાન સામેલ : ઉંડી શોધખોળ

શ્રીનગર,તા. ૫ : જમ્મુ કાશ્મીરમાં કલમ  ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ હચમચી ઉઠ્યા છે. આજે જ મોદી સરકારના આ પગલાના બે મહિના પૂર્ણ થઇ ચુક્યા છે. બીજી બાજુ આજે અનંતનાગ જિલ્લામાં ત્રાસવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. બીસી ઓફિસની બહાર ગ્રેનેડ ઝીંકવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિક પોલીસના એક જવાન સહિત ૧૪ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલાઓમાં એક પત્રકારનો પણ સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી કલમ ૩૭૦ની જોગવાઈને દૂર કરવામાં આવ્યા બાદ બીજી વખત ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, અનંતનાગમાં કઠોર સુરક્ષા ધરાવતા ડીસી ઓફિસ સંકુલની બહાર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. સવારે ૧૧ વાગ્યાની આસપાસ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. ગ્રેનેડ ટાર્ગેટ ચુકી જતાં માર્ગની નજીક ફાટી ગયો હતો જેમાં ટ્રાફિક પોલીસના એક કર્મી અને પત્રકાર સહિત ૧૪ લોકો ઘાયલ થયા હતા.

           ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ ૧૩ને રજા આપી દેવામાં આવી હતી જ્યારે એક હજુ પણ સારવાર હેઠળ છે. ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ વ્યાપક શોધખોળ હાથ ધરી છે. આપહેલા શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે તૈનાત કરવામાં આવેલા સુરક્ષા દળો ઉપર ત્રાસવાદીઓએ ૨૮મી સપ્ટેમ્બરના દિવસે ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં કોઇને ઇજા થઇ ન હતી. બીજી બાજુ ચૂંટણીને લઇને પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક ચૂંટણી હવે યોજાનાર છે. જમ્મુ ક્ષેત્રના મોટાભાગના નેતાઓની નજરબંધી ખતમ કરી દેવામાં આવી છે. મંગળવારના દિવસે જાહેરનામુ જારી કરાયું હતું. ૨૪મી ઓક્ટોબરના દિવસે ચૂંટણી યોજાશે. રાજ્યપાલના સલાહકાર ફારુખ ખાને સંકેત આપ્યા છે કે, જમ્મુ બાદ કાશ્મીરના નેતાઓની નજરબંધીને ખતમ કરવામાં આવશે. હુમલા બાદ સુરક્ષા દળોને વધારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ત્રાસવાદીઓની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમામ લોકો સારી રીતે   જાણે છે કે જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ આ ગાળાને બે મહિનાનો સમય થઇ ગયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે પાંચમી ઓગષ્ટના દિવસે  જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી વિવાદાસ્પદ અને જટિલ કલમ ૩૭૦ને નાબુદ કરી હતી. મોદી સરકારે સ્વતંત્ર ભારતા ઇતિહાસમાં હજુ સુધીનો સૌથી મોટો નિર્ણય કરીને દેશના કરોડો લોકોની અપેક્ષાને અંતે પૂર્ણ કરી હતી. મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની જોડીએ નવો ઇતિહાસ સર્જ્યો હતો.

          સરકારે ભારે હલચલ વચ્ચે રાજ્યસભા રાજ્યસભામાં ઐતિહાસિક સંકલ્પ રજૂ કરીને કેટલાક નિર્ણયની જાહેરાત કરી હતી. કલમ ૩૭૦ અને કલમ ૩૫એ નાબુદ કરીને એક નવી શરૂઆત કરી દીધી હતી. કલમ ૩૭૦ને દુર કરવાની સાથે રાજ્યનુ વિભાજન જમ્મુ કાશ્મીર અને લડાખ તરીકે બે કેન્દ્રશાસિત પ્રદેશમાં થઇ ગયુ હતુ. નવી વ્યવસ્થા મુજબ જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત ક્ષેત્રમાં પોતાની વિધાનસભા રહેશે. જ્યારે લડાખમાં કોઇ વિધાનસભા રહેશે નહી. લડાખ વિધાનસભા વગર કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. અમિત શાહે  રાજ્યસભામાં એક સંકલ્પ રજૂ કરીને તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

(8:20 pm IST)