Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

તૃણમૂલ સાંસદે નાણાંમંત્રી નિર્મલા સીતારામનની તુલના ઝેરીલા સાંપ સાથે કરી

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ : તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ બકવાસ કરી રહ્યા છે : ભાજપ

કોલકાત્તા, તા. ૫ : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન સરખામણી ઝેરીલા સાપ સાથે કરી છે, જેના કારણે ભાજપ ગુસ્સે ભરાયું છે. આ સંદર્ભે ભાજપના નેતાએ કહ્યું કે મમતા બેનરજીએ પોતાની પાર્ટીના નેતાઓ પરથી કાબુ ગુમાવી દીધો છે અને એ હતાશામાં જેમતેમ વર્તન કરી રહ્યા છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને રેલવેના સૂચિત ખાનગીકરણની વિરૂદ્ધ શનિવારે બાંકુરામાં એક રેલી સંબોધિત કરતા કલ્યાણ બેનરજીએ સીતારમનનું રાજીનામું માંગ્યું છે. કલ્યાણ બેનરજીએ કહ્યું કે, જે રીતે ઝેરીલો સાપ કરડે અને માનવી મરી જાય છે, એ રીતે નિર્મલા સીતારમનના કારણે દેશના લોકો એક પછી એક મરી રહ્યા છે. કારણ કે નાણામંત્રી સીતારમને દેશની અર્થવ્યવસ્થા તબાહ કરી દીધી છે. તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સભ્ય કલ્યાણ બેનરજીએ નિર્મલા સીતારમનને દુનિયાની સૌથી ખરાબ નાણાંમંત્રી ગણાવી છે.

                બાદમાં ભાજપે પણ પલટવાર કર્યો છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે દાવો કર્યો કે મુખ્યમંત્રી મમતા બેનરજીનું પાર્ટીના નેતાઓ પર નિયંત્રણ રહ્યું નથી, તૃણમૂલ કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચાર ટોપથી બોટમ સુધી ફેલાઈ ગયો છે. એ લોકો હવે અંદરો અંદર ઝગડી રહ્યા છે અને એ પૈકી કેટલાક સત્તાધારી પાર્ટીમાં સર્જાયેલી પરિસ્થિતિ ધ્યાન અન્યત્ર લઈ જવા માટે આવા પ્રકારના બેફામ નિવેદન કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષે આવા નિવેદનને અમે ખાસ મહત્વ આપતા નથી. અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, સાંસદ કલ્યાણ બેનરજીએ વડાપ્રધાન મોદીની ટીકા કરતા કહ્યું કે તેમણે ન્યૂ ઈન્ડિયાનું વચન આપ્યું હતું પરંતુ મોદીએ દેશની અર્થવ્યવસ્થા ખરાબ કરી દીધી છે.

(9:35 pm IST)