Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

માનવ તસ્કરી રોકવા માટે બાંગ્લાદેશ સીમા પર એલર્ટ

લોકડાઉનને લીધે માનવતસ્કરી વધવાની આશંકા : બીએસએફના હાથે ૧૯-૨૯ જૂન વચ્ચે પાંચ બાંગ્લાદેશી ઝડપાયા, નોકરીની લાલચ આપીને ગરીબોને ફસાવાય છે

 નવી દિલ્હી, તા. ૫ : બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)એ સરહદ પર માનવ તસ્કરીની ઘટના રોકવા માટે બાંગ્લાદેશની સાથેની ૪૦૯૬ કિલોમીટર લાંબી સરહદ પર એલર્ટ જાહેર કરી દીધું છે, કેમ કે કોવિડ-૧૯ અને લોકડાઉનના કારણે પેદા થયેલી પરિસ્થિતિને લીધી માનવ તસ્કરીની સમસ્યા વકરી શકે છે, તેમ બીએસએફના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બીએસએફ એ કોલકાત્તા, ગુવાહાટી, પર્વોત્તર ભારતના કેટલાક અન્ય શહેરો અને દિલ્હી તથા મુંબઈ જેવા શહેરોમાં નોકરી અપાવવાની લાલચ આપીને ગરીબો અને જરુરિયાત ધરાવતા લોકોને સરહદ પારથી લાવીને તસ્કરો કેટલાક નવી પદ્ધિત પર ધ્યાન કેન્દ્રતિ કરી રહ્યા છે. બીએસએફના અધિકારીઓના કહેવા મુજબ બીએસએફએ ૧૯-૨૯ જૂનની વચ્ચે લગભગ બે સપ્તાહમાં પાંચ બાંગ્લાદેશી નાગરિકોને રેલવેના ડબ્બાથી પકડ્યા છે, જે પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં આવ્યા હતા.

            તેમણે કહ્યું કે આ પાંચ લોકોની ઉંમર ૧૨ થી ૨૫ વર્ષની વચ્ચેની હતી. એવું સમજવામાં આવી રહ્યું છે કે કોવિડ-૧૯ લોકડાઉનના કારણે રોજગાર છીનવાઈ જવાથી આ લોકોને લાલચ આપીને સરહદ પારથી તસ્કરીના માધ્યમથી લાવવામાં આવ્યા છે. અધિકારીઓ વધુમાં કહ્યું કે એટલા માટે અમારા જવાનોએ સરહદ પરની ચેક પોસ્ટ પર સાવધાની વધારી દીધી છે, જેથી માનવ તસ્કરી રોકી શકાય.

                દિલ્હીમાં બીએસએફના એક અધિકારીએ કહ્યું કે,અમે આ મુદ્દા પર અમારી સમકક્ષ બીજીબી(બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ)ની સાથે સમન્વય કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને એ સુનિશ્ચિત કરવા માટે અમારા સંયુક્ત પ્રયાસ છે કે સરહદ પર શાંતિ કાયમ રહે.  આ સાથે સરહદ પરના ગુનાની ઘટનાઓની અસરકારક રીતે તપાસ કરવામાં આવી રહી છે. એક અધિકારીએ એમ પણ કહ્યું કે બીએસએફ અને બીજીબીની વચ્ચે વર્તમાનમાં સૌથી સારા સંબંધ છે. બંને દેશોનો ઇતિહાસ સમાન છે અને અમે સંબંધોના શ્રેષ્ઠત્તમ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અહીંયા નોંધવું રહ્યું કે, ભારત-બાંગ્લાદેશ સરહદ પર માનવ તસ્કરી માટે ઢોર ચરાવનાર સમુદાયની મદદ તસ્કરો લે છે, એટલે ભારતીય જવાનો સાવધાન થયા છે. આ દરમિયાન કેટલીક વાર જવાનો અને તસ્કરો વચ્ચે અથડામણ થાય છે. તાજા આંકડા અનુસાર જાન્યુઆરી ૨૦૧૮થી જૂન ૨૦૨૦ની વચ્ચે બીએસએફના ૨૦૦થી વધુ જવાનો ઘાયલ થયા છે.

(9:32 pm IST)