Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કેલાશ માનસરોવર યાત્રા : હજારો શ્રદ્ધાળુને હજુ સહાયનો ઇન્તજાર

સેંકડો ગુજરાતી શ્રદ્ધાળુઓને પણ સુરક્ષિત ખસેડી લેવાયા : ભારતીય દુતાવાસના અધિકારીઓ અને તેમની ટીમ સહાયમાં સતત સક્રિય ખરાબ હવામાનની અસર : અટવાઇ પડેલા શ્રદ્ધાળુઓને ખસેડવાની પ્રક્રિયા

નવીદિલ્હી, તા. ૫ : તિબેટમાં કેલાશ માનસરોવર તીર્થયાત્રીઓની તકલીફ હજુ પણ ઓછી થઇ રહી નથી. તીર્થ યાત્રાથી પરત ફરી રહેલા ભારતીય શ્રદ્ધાળુઓની તકલીફ હજુ પણ ખતમ થઇ રહી નથી. ખરાબ હવામાન અને વરસાદના કારણે નેપાળના પર્વતીય ક્ષેત્રમાં ફસાયેલા ઓછામાં ઓછા ૧૦૦૦ લોકો હજુ મદદની રાહ જોઇ રહ્યા છે. નેપાળમાં ભારતીય દુતાવાસ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. સક્રિય રહેલા સંબંધિત અધિકારીઓ કેલાશ માનસરોવર તીર્થયાત્રાથી પરત ફરતી વેળા ભારે વરસાદ થયો હતો જેના કારણે ફસાઇ ગયેલા શ્રદ્ધાળુઓના બચાવના પ્રયાસમાં લાગેલા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. હિલ્સામાંથી ગઇકાલે ૨૫૦ ભારતીય તીર્થયાત્રીઓને કાઢી લેવામાં આવ્યા હતા. નેપાળમાં ભારતીય દુતાવાસે ટ્વીટ કરીને કહ્યુ છે કે પાંચ જુલાઇની સવારે ૧૦ વાણિજ્ય વિમાન ૧૪૩ તીર્થયાત્રીઓને સિમીકોટથી લઇને નેપાળગંજ પહોંચી ગયા હતા. ભારતીય દુતાવાસના કહેવા મુજબ સિમિકોટમાં ૬૪૩ અને હિલ્સામાં ૩૫૦ લોકો હજુ પણ ફસાયેલા છે.હજુ સુધી કેલાશ માનસરોવર યાત્રામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા છે.  ૧૦૦થી વધારે ગુજરાતી શ્રદ્ધાળુઓને પણ વિમાન દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કેલાશ માનસરોવર યાત્રા બાદ પરત ફરતી વેળા નેપાળમાં તિબેટ સરહદ નજીક સ્થિત હિલ્સામાં ફસાયેલા ૧૦૦ ગુજરાતી શ્રદ્ધાળુઓને પણ બચાવી લેવામાં આવ્યા છે. અટવાઇ પડેલા લોકોને ખસેડી લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે.  નેપાળમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ શ્રદ્ધાળુઓની સતત મદદ કરી રહ્યા છે. નેપાળગંજથી સીમીકોટ માટે સાત ફ્લાઇટો ઓપરેટ કરવામાં આવી છે. કૈલાશ માનસરોવર યાત્રાના રસ્તામાં ૧૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓ અટવાયેલા હતા. હજુ પણ ૫૨૫ શ્રદ્ધાળુઓ સીમીકોટમાં, ૫૫૦ શ્રદ્ધાળુઓ હિલ્સામાં અને તિબેટની નજીક ૫૦૦ શ્રદ્ધાળુઓ અટવાયેલા છે. ભારતીય દૂતાવાસ નેપાળગંજ, સીમીકોટ અને હિલ્સામાં પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.

નેપાળમાં ભારતીય દૂતાવાસે પરિવારજનો માટે જુદી જુદી ભાષામાં હોટલાઈન નંબર જારી કર્યા છે.વિદેશ પ્રધાન  સુષ્મા સ્વરાજ પોતે સતત સંપર્કમાં રહેલા છે.ભારે વરસાદના કારણે આ તમામ લોકો ફસાયેલા છે.કૈલાશ માનસરોવર યાત્રામાં ફસાયેલા લોકોને લઇને શ્રદ્ધાળુઓના સગાસંબંધીઓમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા બાદ લોકો આના પર જરૂરી માહિતી મેળવી શકે છે. મોદી સરકાર પ્રથમ વખત જોરદારરીતે સક્રિય દેખાઈ રહી છે અને માહિતી મેળવવાના સતત પ્રયાસો કરી રહી છે.

(7:34 pm IST)