Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

મુસ્લિમ દેશ ઈન્ડોનેશીયાએ બનાવી ભગવાન વિષ્ણુજીની સૌથી ઊંચી મૂર્તિઃ ૨૮ વર્ષ અને ૮૦૦ કરોડનો ખર્ચ

ગરૂડ ઉપર સવાર ભગવાન વિષ્ણુજીની પ્રતિમા ૧૨૨ ફૂટ ઊંચી અને ૬૪ ફૂટ પહોળી છે

નવી દિલ્હીઃ હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુ સમૃદ્ઘિ અને વૈભવના પ્રતીક છે. ભગવાન વિષ્ણુની જુદા જુદા નામોથી પૂજા ન થતી હોય. પણ તમને જાણીને આશ્યર્ય થશે કે દુનિયામાં ભગવાન વિષ્ણુની સૌથી ઊંચી મૂર્તિ ભારતમાં નથી. તે એક એવા દેશમાં છે જે મુસ્લિમોની વસતીના મામલે દુનિયામાં નંબર એક ઈન્ડોનેશીયામાં છે. જયાં વિષ્ણુની લગભગ ૧૨૨ ફૂટ ઊંચી અને ૬૪ ફૂટ પહોળી મૂર્તિ છે. આ મૂર્તિનું નિર્માણ તાંબા અને પીતળથી કરવામાં આવ્યું છે. જેને બનાવવામાં લગભગ ૨૮ વર્ષનો સમય લાગ્યો છે. આ મૂર્તિ ૨૦૧૮માં બનીને પૂરી થઈ હતી અને પૂરી દુનિયાથી લોકોને તેના દર્શન કરવા અને જોવા માટે આવે છે.

૧૯૭૯માં ઈન્ડોનેશિયામાં રહેનારા મૂર્તિકાર બપ્પા ન્યૂમન નુઆર્તાએ હિંદુ પ્રતીકની વિશાળકાય મૂર્તિ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. જેને જોવું તો સરળ હતું પણ એક એવી મૂર્તિ બનાવવી જે વિશ્વવિખ્યાત હોય તેને અઘરૃં કામ હતું. કહેવામાં આવે છે કે, આ મૂર્તિની શરૂઆત કરવા માટે ૧૯૮૦ના દશકામાં બાલીમાં એક કંપની બનાવવામાં આવી હતી. નક્કી કરવામાં આવ્યું કે તેની દેખરેખમાં જ કામ થશે. મૂર્તિની સંરચનામાં ઘણો પરિશ્રમ કરવામાં આવ્યો છે.

 લાંબી યોજના અને પૈસાની વ્યવસ્થા પછી આ મૂર્તિ બનાવવાની શરૂઆત ૧૫ વર્ષ પછી લગભગ ૧૯૯૪માં થઈ. આ મૂર્તિના નિર્માણમાં ઈન્ડોનેશિયાની દ્યણી સરકારોએ મદદ કરી. ઘણીવાર તેના મોટા બજેટને કારણે કામ પણ રોકાયું હતું. વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૩ સુધી લગભગ ૬ વર્ષો સુધી તેનું નિર્માણ કાર્ય રોકાયું હતું. પણ પછી તેને ફરી શરૂ કરી દેવામાં આવ્યું અને વધુ ૫ વર્ષ લાગી ગયા.

વચ્ચે મૂર્તિની પાસે રહેનારા સ્થાનીક લોકોએ પણ વિરોધ કર્યો હતો. પણ તેમને સમજાવવામાં આવ્યા કે આ મૂર્તિ ઈન્ડોનેશિયાનું સૌથી મોટું ટૂરિસ્ટ ડેસ્ટિટેશન હોઈ શકે છે. જેથી લોકો માની ગયા હતા.

ગરૂડ પર સવાર ભગવાન વિષ્ણુની આ મૂર્તિ દુનિયાભરમાં મોજૂદ હિંદુ ભગવાનોની મૂર્તિઓ કરતા સૌથી ઊંચી ગણવામાં આવી છે. ત્યાર પછી મલેશિયામાં બનેલી ભગવાન મુરૂગનની મૂર્તિને માનવામાં આવે છે. મુરૂગન પણ ભગવાન વિષ્ણુના જ સ્વરૂપ છે. દક્ષિણ ભારતમાં વિશેષ કરીને તમિલનાડુમાં ભગવાન વિષ્ણુની પૂજા મુરૂગનના નામે થાય છે. ઈન્ડોનેશિયામાં આ વિશાળ મૂર્તિનું નિર્માણ કરનારા મૂર્તિકાર બપ્પા ન્યૂમન નુઆર્તાને ભારતમાં સન્માનિત કરવામાં આવ્યા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.

(11:20 am IST)