Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

તમામ ટ્રેનોમાં ક્વાલિટી ફુડ આપવાને ઉચ્ચ પ્રાથમિકતા

ક્વોન્ટીટીના બદલે ક્વાલિટી ફુડને મહત્વ અપાયું : રાજધાની-શતાબ્દી ટ્રેનમાં સૌથી પહેલા આ નવી યોજના શરૂ : ટ્રેનમાં મળનાર ભોજનનું વજન ૧૫૦ ગ્રામ ઘટશે

નવીદિલ્હી, તા.૫ : રેલવેમાં ભોજનને લઇને હમેશા પ્રશ્નો થતાં રહ્યા છે. ટ્રેનોમાં ઉપલબ્ધ ભોજનની વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ હવે આઈઆરસીટીસીએ નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેના ભાગરુપે આજે ક્વાલિટી ફુડ આપવા માટે હવે ભોજનની ગુણવત્તા તરફ ધ્યાન આપવામાં આવશે. ક્વાલિટી ફુડ આપવા માટે ક્વોન્ટીટી સાથે બાંધછોડ કરવામાં આવશે. વધુ ભોજનના બદલે હવે ગુણવત્તાસભર ભોજન ટ્રેનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારી ઓડિટર અને કેટલાક યાત્રીઓ પાસેથી સતત ટ્રેનોમાં ગુણવત્તાવગરના ભોજન પિરસવામાં આવતા હોવાની ફરિયાદો બાદ ભારતીય રેલવે ભોજનની ગુણવત્તા માટે તેના પ્રમાણને ઘટાડી દેવાની યોજના તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ યોજના પહેલા રાજધાની અને શતાબ્દી જેવી પ્રિમિયમ ટ્રેનોમાં શરૂ થશે. રેલવેની આ પહેલ બાદ ટ્રેનમાં મળનાર ભોજનનું વજન ૧૫૦ ગ્રામ સુધી ઘટી શકે છે.

ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટ્યુરીઝમ કોર્પોરેશન દ્વારા એવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે, ટ્રેનમાં મળનાર ભોજનની વસ્તુઓ જેમ કે, શુપ, બ્રેડ સ્ટીક્સ, બટર અને સેન્ડવીચ યાત્રીઓની પ્લેટમાંથી ગાયબ થઇ શકે છે. આ ઉપરાંત સમગ્ર ભોજન આપવાની જગ્યાએ રેલવે યાત્રીઓને માત્ર વેજિટેરિયન અને નોન વેજિટેરિયન રાઇઝ કોમ્બો પણ આપી શકે છે. કેટરીંગ એક્સપર્ટની એક ટીમે આઈઆરસીટીસીને કહ્યું છે કે, ટ્રેનોમાં આપવામાં આવતા ભોજનનું વચન ૯૦૦ ગ્રામ હોય છે જ્યારે એક સામાન્ય ભારતીયની લાભનું વજન ૭૫૦ ગ્રામ હોય છે. આઈઆરસીટીસીને આના કારણે ભારે નુકસાન પણ થઇ રહ્યું છે. હાલમાં આઈઆરસીટીસીને એક પ્લેટ પર ૧૧૨ રૂપિયા મળે છે અને તેની વાસ્તવિક કિંમત ૧૫૦ રૂપિયા પ્રતિ પ્લેટથી વધારે થઇ ચુકી છે. રેલવે અધિકારીઓના કહેવા મુજબ ટ્રેનોમાં ઉપલબ્ધ ભોજનની ગુણવત્તાને લઇને હમેશા પ્રશ્નો થયા છે. હવે ગુણવત્તાને પ્રાથમિકતા અપાઈ રહી છે.

(7:43 pm IST)