Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

મતદારોને રાજી કરવા મોદી મેદાનેઃ ઓલ્ડ એજ પેન્શન-લાઈફ ઈન્સ્યુરન્સ - મેટરનીટી બેનીફીટ જાહેર કરશે

૫૦ કરોડ લોકોને મળશે લાભ : પહેલા દેશના ૬ જીલ્લામાં પાઈલોટ પ્રોજેકટ શરૂ કરાશે

નવી દિલ્હી, તા. ૫ :. વડાપ્રધાન મોદીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હોય તેમ જણાય છે. તેઓ દેશના ૫૦ કરોડ લોકોને લાભ પહોંચાડવા માટે તૈયાર થયા છે. આ માટે તેઓ ૩ યોજના જાહેર કરે તેવી શકયતા છે.

આ યોજનામાં ઓલ્ડ એજ પેન્શન, લાઈફ ઈન્સ્યુરન્સ અને મેટરનીટી બેનીફીટનો સમાવેશ થાય છે. જો કે આ યોજના સંપૂર્ણ લાગુ કરવા તેમની પાસે સમય ઓછો છે, એટલું જ નહિ સ્ત્રોત પણ સીમિત છે.

આ ત્રણ યોજના થકી તેઓ ભરપુર રાજકીય લાભ ઉઠાવવા માગે છે. જો કે આ ત્રણેય યોજનાથી સરકારની તિજોરી ઉપર જંગી ભારણ પડશે એ નક્કી છે.

સરકારે ઈન્ફોર્મલ (હંગામી) એમ્પ્લોયમેન્ટ સહિત તમામ કામદારોને લાખ મળે તેવો એક ખરડો તૈયાર કર્યો છે. જેમાં ૧૫ કેન્દ્રીય શ્રમ કાયદાઓને મર્જ કરી એક બનાવાશે. આ બીલ ચોમાસુ સત્રમાં લવાશે.

મોદીની આ ત્રણેય યોજના સૌથી વધુ લોકોને આવરી લ્યે તેવી હશે. ફેબ્રુ.માં તેમણે ૧૦ કરોડ લોકો માટે હેલ્થ પ્રોટેકશન પ્લાન જાહેર કર્યો હતો.

સરકાર આ ત્રણેય યોજના પ્રથમ ૬ જીલ્લાઓમાં પાઈલોટ પ્રોજેકટ તરીકે જાહેર કરી શકે છે. આ યોજના થકી તેઓ લોકોને સામાજીક સુરક્ષા પ્રદાન કરવા માંગે છે.

(3:28 pm IST)