Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

૧૫ જુન બાદ પ્રદુષણ-ફિટનેસ સર્ટી વગર વાહન વીમો નહિ

હવે સરળ નહિ રહે થર્ડ પાર્ટી વીમો

નવી દિલ્હી તા. પ :.. ૧પ જૂન પછી વાહનોનો થર્ડ પાર્ટી વીમો કરાવવો સરળ નહીં હોય સરકારી માલ અને યાત્રી વાહનોનો વીમો વાહનોના ફીટનેસ સર્ટીફીકેટ અને પ્રદુષણ પ્રમાણ પત્ર (પીયુસી) આપવામાં આવે ત્યારે જ થઇ શકશે.

માર્ગ મંત્રાલય દ્વારા આ બાબતે બધી ઇન્સ્યોરન્સ  કંપનીઓને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં ૧૦  ઓગસ્ટ ર૦૧૭ ના સુપ્રીમ કોર્ટના ફેસલાની વાત કરતા કહેવાયું છે કે આ કેસમાં સુપ્રીમ કોર્ટે જેનુ કાયદેસર પીયુસી ન હોય તેવા વાહનોની નવી પોલીસી અથવા જૂની પોલીસી રીન્યુ ન કરવા આદેશ આપ્યા હતા. એ વાત પણ યાદ દેવામાં આવી હતી કે બધા રજીસ્ટર્ડ વાહનોના વીમા માટે ફીટનેસ સર્ટીફીકેટ પણ જરૂરી છે. સાર્વજનીક માલ અને યાત્રી વાહનો માટે દર વરસે ફીટનેસ સર્ટીફીકેટ લેવાનું હોય છે જયારે ખાનગી વાહનોના ફીટનેસ સર્ટીફીકેટ સમયાંતરે લેવાના હોય છે. વીમા કંપનીઓ આ મામલે ઘણી ઢીલ ચલાવતી હોય છે. નવા વાહનોમાં તો ફીટનેસ સર્ટીફીકેટની જરૂર નથી પડતી પણ પોલીસી રીન્યુ કરતી વખતે વીમા કંપનીઓ પીયુસી અને ફીટનેસ સર્ટીફીકેટ ત્યારે જ માગે છે જયારે પોલીસીની મુદત પુરી થઇ ગઇ હોય. બીજી બાજુ ઇન્ડીયન ફાઉન્ડેશન  ઓફ ટ્રાન્સ્પોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનીંગના શ્રી એસ. પી. સિંહે કહ્યું કે પીયુસી અને ફીટનેસ સર્ટીફીકેટ પર જોર દેવું સારી બાબત છે. પણ જે રીતે રાજયોમાં ફીટનેસ સર્ટીફીકેટ અને શહેરોમાં પીયુસી આપવામાં આવે છે તે જોતાં ખાલી વિમા માટે તેને ફરજીયાત બનાવવાથી કોઇ ફેર પડે તેવું લાગતું નથી. મોટા ભાગના શહેરોમાં વાહનનું પ્રદુષણ માપવાના સાધનો જુના અને કામ ચલાઉ છે. તેનાથી ઉતસર્જનનું સાચું માપ નથી મળતું. ઘણી વખત તો આવા પ્રમાણ પત્રો ઘેર બેઠા મળી જતાં હોય છે. જયાં સુધી આનું આધુનીકરણ અને ડીજીટાઇઝેશન નહીં થાય ત્યાં સુધી આવા આદેશોના સાચા લાભ નહી મળે. (પ-૧ર)

(11:29 am IST)