Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન જ અંતિમ ઉપાય : એમ્સના ડો.રણદીપ ગુલેરિયાની સલાહ

હાલ નાઈટ કરફ્યૂ અને વીક એન્ડ લોકડાઉન લગાવવાનો કોઈ ફાયદો નથી : ભારતને કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે

નવી દિલ્હી : એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે, હાલના સમયમાં નાઈટ કરફ્યૂ અને વીક એન્ડ લોકડાઉન લગાવવાનો કોઈ ફાયદો નથી. સંપૂર્ણ લોકડાઉન જ અંતિમ ઉપાય છે. તે ઉપરાંત તેમણે શક્યતા દર્શાવી છે કે, ભારતને કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે.

એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ હતુ કે, જો કોરોના મહામારી આ જ રીતે આગળ વધતી રહી અને વાયરસ ઈમ્યુન એસ્કેપ મિકેનિઝમ વિકસિત કરવામાં સક્ષમ થઈ ગયો તો શક્ય છે કે, ભારતને કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાનો પણ વારો આવે. વાયરસના સંક્રમણને રોકવુ હશે તો યોગ્ય સમય પૂરતુ લોકડાઉન કરવાની જરુર છે.

તેમણે કહ્યુ હતુ કે, હાલમાં ત્રણ બાબતો પર ધ્યાન આપવાનીજ રુર છે. હોસ્પિટલોની સુવિધાઓમાં સુધારો કરવાની, કોરોનાના વધતા કેસ રોકવાની અને વેક્સીનેશનને ઝડપી બનાવવાની.સંક્રમણની ચેનને તોડવી પડશે.જો લોકોનો ક્લોઝ કોન્ટેકટ ઓછો કરવામાં સફળ થયા તો કોરોનાના કેસ ઓછા થશે.

ડોક્ટર ગુલેરિયાના મતે આ સમયે વીકેન્ડ લોકડાઉન લગાવવાનો કે નાઈટ કરફ્યુ લગાવવાનો કોઈ અર્થ નથી.આપણે સમજવાની જરુર છે કે, લોકોમાં ઈમ્યુન સિસ્ટમ વધે તે માટે તેમને જલ્દી વેક્સીન આપવી પડશે અને બીજુ એ સમજવુ પડશે કે વાયરસ કેવી રીતે પોતાનુ સ્વરુપ બદલે છે

દરમિયાન હાલમાં દેશમાં શરુ કરાયેલા વેક્સિનેશનમાં અત્યાર સુધીમાં 15 .89 કરોડ લોકોને વેક્સીન અપાઈ ચુકી છે.

(11:53 pm IST)