Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

દિવાળી જેવો માહોલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશ જગમગી ઉઠ્યું

દેશભરમાં લોકો રાત્રે નવ વાગે દિપ પ્રગટાવી બાલ્કનીમાં દેખાયા : ભારતીય કેપ્ટન કોહલી, અમિત શાહ તમામ કેન્દ્રીયમંત્રીઓ સહિતની તમામ મોટી હસ્તીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેખાયા : ખતરનાક બનેલા કોરોનાને ખુલ્લો પડકાર

નવીદિલ્હી, તા. ૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ ઉપર આજે રાત્રે નવ વાગ્યાના ટકોરે દેશભરમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો. મોદીની દિપ પ્રગટાવવાની અપીલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો તો અને દેશભરના તમામ ૧૩૦ લોકોએ પોતાના ઘરમાં દિપ પ્રગટાવી, મોબાઇલની ફ્લેશ લાઇટ જલાવી, ટોર્ચ જલાવીને કોરોનારુપી અંધકારને જોરદાર પડકાર ફેંક્યો હતો. તમામ લોકોની એકતાના દર્શન ફરી એકવાર થયા હતા. નવ વાગ્યાના ટકોરે ઘરમાં રહેલી તમામ લાઇટોને બંધ કરી લીધી હતી અને દિપ પ્રગટાવી દીધા હતા. લોકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. ૨૧ દિવસનો લોકડાઉનનો ગાળો હાલમાં ચાલી રહ્યો છે. લોકો ઘરમાં કેદ છે ત્યારે આજે આ દિવાળી જેવો માહોલ રાત્રે છવાયો હતો. અત્રે નોંધનીય છે કે, મોદીએ સૌથી પહેલા કોરોના વાયરસના જોરદાર પ્રકોપ વચ્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી જેને લઇને લોકોએ કઠોરરીતે પાલન કરીને એકતાના દર્શન કરાવ્યા હતા. ત્યારબાદ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને ૨૧ દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.

            લોકડાઉનની જાહેરાત થયા બાદથી દેશભરમાં લોકો કઠોર નિયમો પાળી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની અપીલ ઉપર આજે લોકો રાત્રે નવ વાગે નવ મિનિટ સુધી પોતપોતાના ઘરની લાઇટો બુઝાવી દીધી હતી. દેશે અને કેન્ડલ, દિપક, ટોર્ચ અથવા તો મોબાઇલની ફ્લેશ લાઇટ જલાવી હતી. હકીકતમાં મોદીએ વિતેલા દિવસોમાં જનતા કર્ફ્યુના દિવસે દેશવાસીઓને સાંજે પાંચ વાગે પાંચ મિનિટ સુધી કોરોનાની સામે જંગના હિરો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા તાળી, થાળી વગાડવા માટે કહ્યું હતું.આજે દેશવાસીઓને કોરોનાની સામે જંગમાં એકતાના દર્શન કરાવવા અને કોરોનારુપી અંધકારને ભગાવવા મોદીએ કરેલી અપીલની અસર દેખાઈ હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાના ઘરમાં દિપ પ્રગટાવીને મોદીની અપીલને સમર્થન આપ્યું હતું. કેએલરાહુલ, હરભજનસિંહ સહિતની તમામ હસ્તીઓએ પણ મોદીની અપીલને સમર્થન આપ્યું હતું.

            જુદા જુદા વર્ગના લોકોએ મોદીની અપીલને જોરદારરીતે સમર્થન આપ્યું હતું. નવ મિનિટ સુધીના ગાળા દરમિયાન લાઇટો બંધ કરવામાં આવ્યા બાદ વિજળી ડુલ થશે તેવી અફવાનો પણ મોડી રાત્રે અંત આવી ગયો હતો. કારણ કે, કોઇ જગ્યાએ લાઇટો ડુલ થઇ ન હતી. લોકોએ ભવ્યરીતે ઉજવણી કરી હતી. મોદીએ લાઇટ બંધ કરી દિપ પ્રગટાવવા માટે અપીલ કર્યા બાદ જુદા જુદા પક્ષો તરફથી જુદી જુદી પ્રતિક્રિયા આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઇકાલે કહ્યું છે કે, કોરોના વાયરસ આ પ્રકારની ગતિવિધિથી ભાગશે નહીં. હાલમાં મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં રાત્રે નવ વાગે નવ મિનિટ ફાળવવા તમામ લોકોને અપીલ કરી હતી જેને આજે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ તમામ જગ્યાઓ ઉપર દિપ પ્રગટાવી, ટોર્ચ જલાવીને કોરોને પડકાર ફેંક્યો હતો. કોરોના સામે જંગમાં વડાપ્રધાન મોદી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. એક પછી એક બેઠકો કરીને દરરોજ જોરદારરીતે સક્રિય બનેલા છે. આજે રાત્રે નવ વાગે લોકો લાઇટો બંધ કરીને બાલ્કનીમાં દેખાયા હતા. આનાથી એકતાની ભાવના વધારે પ્રગટ થઇ હતી.

 

(9:59 pm IST)