Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

યુવકોને કોરોના પોઝિટિવ કહી દુબઈમાં બંધક બનાવી દેવાયા

નોકરી અપાવવાના બહાને યુવકોને દુબઈ લઈ જવાયા : યુવકના પરિવારોએ યુવકોને મુક્ત કરાવવા રજૂઆત કરાતા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા યોગ્ય પગલાંની ખાતરી

રાંચી, તા.૫ : ઝારખંડના ગુમલા જિલ્લાના વતની સુનિલ ભગત અને અજય ઉરાંવને દુબઇમાં બંધક બનાવી લેવામાં આવ્યા છે. નોકરી અપાવાના નામે બંનેને ટૂરિસ્ટ વિઝા પર દુબઈ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં બંનેને ત્યાં કોરોના પોઝિટિવ છે કહીને બંધક બનાવવામાં આવ્યા છે. આ સંદર્ભે ગુરુવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગીતા શ્રી ઉરાંવે મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર મામલાની માહિતી આપી હતી.

કોંગ્રેસના નેતા ગીતા શ્રી ઉરાંવે જણાવ્યું હતું કે, ગુમલા જિલ્લાના ઘાઘરા બ્લોકના નવડીહા બરટોલી ગામ અને ડૂકો ગામના રહેવાસી સુનીલ ભગત અને અજય ઉરાંવને ઉત્તર પ્રદેશના રહેવાસી મધુકર મિશ્રા આ વર્ષે ૨૮ જાન્યુઆરીએ નોકરી અપાવાનું કહીને સાથે લઈ ગયા હતા. ટૂરિસ્ટ વિઝા દ્વારા બંનેને ૭ ફેબ્રુઆરીએ દુબઇ લવાયા હતા.

નોકરી અપાવાના નામે તેણે આ બંને યુવકો પાસેથી દોઢ-દોઢ લાખ રૂપિયા પણ લીધા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ આ બંને યુવકોને કોઈ નોકરી આપવામાં આવી ન હતી.

આ પછી, આ બંને યુવકોને કોરોના પોઝિટિવ કહીને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ગીતા શ્રી ઉરાંવે મુખ્યમંત્રીને વિનંતી કરી કે તેઓ આ બંને યુવકોને દુબઇથી મુક્ત કરવા અને તેઓને સલામત રીતે ઘરે પરત લાવવા પહેલ કરે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ ખૂબ ગંભીર બાબત છે. આ દિશામાં સરકાર બંને યુવકોને પાછા મેળવવા અને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક સ્થાપિત કરીને તેમને મુક્ત કરવા તમામ યોગ્ય પગલાં લેશે.

આ યુવકોનો ટૂરિસ્ટ વિઝા આ વર્ષે ૩૧ માર્ચના રોજ પૂરો થઈ રહ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ પછી આ યુવાનોનું દુબઈ પ્રવાસ ગુનાહિત વર્ગમાં આવશે. આવી સ્થિતિમાં આ બંને યુવાનોને મુક્ત કરાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર આ મામલે ઝડપી પગલાં લેશે. મુખ્યમંત્રીને મળેલા લોકોમાં બોબી ભગત સિવાય સુનીલ ભગતની પત્ની ફુલપ્યારી દેવી અને અજય ઉરાંવની પત્ની કેવરા ઉરાંવ પણ હતી.

(7:51 pm IST)